રાધનપુરમાં દબાણ હટાવવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ-

“પ્રભાવશાળીઓને બચાવી ગરીબોના મકાનો તોડાયા” વિપક્ષના ગંભીર આક્ષેપ.
ગરીબોને પહેલા આવાસ યોજનાના લાભ આપવામાં આવ્યા અને હવે એજ મકાનો તોડી પાડતા અનેક સવાલો ઉભા થયા.
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી બાદ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. સ્થાનિક રહીશો અને વિપક્ષી આગેવાનો દ્વારા કાર્યવાહી દરમિયાન ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વિરોધકારીઓનું કહેવું છે કે શહેરમાં અનેક પ્રભાવશાળી લોકોના મકાનો અને દબાણો હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના રહેણાંક મકાનો પર તંત્ર દ્વારા સીધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે લોકોને ઘરનો સામાન, બાળકોના દફતર, જરૂરી દસ્તાવેજો અને જીવન જરૂરી ચીજવસ્તુઓ બહાર કાઢવાનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો નહોતો, જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
નગરપાલિકા કચેરીએ ધરણા, “વ્હાલા-દવલા” ની નીતિનો આરોપ

કાર્યવાહીના વિરોધમાં નગરસેવક જયાબેન ઠાકોર, શહેર પ્રમુખ રફીકભાઈ ઘાંચી અને વિપક્ષના જાબીર હુસૈન ભાટી સહિતના આગેવાનો સ્થાનિક રહીશો સાથે નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા. વિરોધકારીઓએ સરકાર અને તંત્ર સામે “વ્હાલા-દવલા” ની નીતિ અપનાવવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગરીબોને પહેલા આવાસ યોજનાના લાભ આપવામાં આવ્યા અને હવે એ જ મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે.
વિરોધ દરમિયાન મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના લોકો કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા હોવાનું પણ જણાવાયું હતું. વિરોધમાં જોડાયેલા લોકો માટે ફારૂક મેમણ અને ભુરેખાન બલોચ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ વિરોધકારીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા તરફથી પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
આ સમગ્ર મામલે શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિક રહીશો અને વિપક્ષી આગેવાનો દ્વારા સમગ્ર કાર્યવાહી અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
