રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ

કેપિટલ મેસેજ
Capital message
રાધનપુરના સેવાભાવી યુવાન શૈલેષભાઈ ઠાકોરે ફરી એકવાર માનવતાની અનોખી મિસાલ સ્થાપિત કરી છે. ગત રોજ રાધનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દી કૈલાસેન સુરેશભાઈ ઠાકોરને ઇમરજન્સીમાં AB પોઝિટિવ બ્લડની જરૂરિયાત ઊભી થતાં શૈલેષભાઈએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી પોતાનું રક્તદાન કરી દર્દીને સમયસર જીવનદાયી સહાય પૂરી પાડી હતી.
આ રક્તદાન સાથે શૈલેષભાઈ ઠાકોરે પોતાના જીવનનું 49મું સ્વૈચ્છિક રક્તદાન પૂર્ણ કર્યું છે. તેઓ વર્ષોથી **’સદારામ બ્લડ સેવા’**ના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. તેમના પ્રયાસોથી અત્યાર સુધીમાં હજારો બ્લડ બોટલની વ્યવસ્થા વિવિધ દર્દીઓ માટે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
શૈલેષભાઈ માત્ર પોતે જ રક્તદાન કરતા નથી, પરંતુ પરિવારજનોમાં પણ સેવાભાવના સંસ્કારો વિકસાવ્યા છે. તેમના પરિવારમાં દીકરી અને દીકરાના જન્મદિવસ જેવા શુભ પ્રસંગોની ઉજવણી પણ રક્તદાન કરીને કરવામાં આવે છે, જે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.
રક્તદાન ઉપરાંત શૈલેષભાઈ ઠાકોર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહે છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘરો અને તુલસીના રોપાઓનું વિતરણ કરીને પર્યાવરણ અને જીવદયા પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવે છે.
શૈલેષભાઈ ઠાકોરની નિઃસ્વાર્થ સેવાભાવના કાર્યને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહ્યા છે. તેમનું સતત માનવસેવાનું યોગદાન સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ