ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
“શિક્ષક એ દીવો છે જે પોતે બળીને બીજાના જીવનમાં અજવાળું પાથરે છે.”
ગુરુકુળથી લઈને આધુનિક ડિજિટલ યુગ સુધી સમાજ અને સભ્યતાના ઘડતરમાં શિક્ષકનું સ્થાન અદ્રિતીય રહ્યું છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકો પૂરતો સીમિત નથી, પરંતુ તે જીવન જીવવાની કળા અને સંસ્કારોનું સિંચન કરતો શિલ્પી છે.
ભારતમાં પ્રતિવર્ષ ૫ સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન તત્વચિંતક અને ઉત્કૃષ્ટ શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે તેમના પ્રશંસકોએ તેમનો જન્મદિવસ ઉજવવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમણે કહ્યું હતું: “મારો જન્મદિવસ ઉજવવાને બદલે તેને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો મને વધારે ગર્વ થશે.”
આ દિવસ માત્ર પુષ્પગુચ્છ આપવાનો કે ઔપચારિક ભાષણો કરવાનો નથી, પરંતુ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને તાજો કરવાનો, તેમના બલિદાનને બિરદાવવાનો અને શિક્ષણ પ્રણાલીમાં રહેલી ખામીઓને દૂર કરવા આત્મમંથન કરવાનો છે.
@ વિદ્યાર્થીનો પથદર્શક, વાલીનો વિશ્વાસ અને સમાજનો આધારસ્તંભ છે શિક્ષક….
વિદ્યાર્થી સાથે શિક્ષક એ બાળકના મનના અંધકારને દૂર કરનાર મિત્ર, માર્ગદર્શક અને ફિલોસોફર છે. તે બાળકની સુષુપ્ત શક્તિઓને ઓળખી તેને આત્મવિશ્વાસ આપે છે.
વાલી સાથે શિક્ષક પોતાના હૃદયના ટુકડા જેવા બાળકને શિક્ષકના હાથમાં સોંપે છે. આ સંબંધ પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સંવાદ પર ટકેલો છે. બાળકના સર્વાંગી વિકાસ માટે બંને એક જ સિક્કાની બે બાજુ સમાન છે.
સમાજ સાથે શિક્ષક સમાજના નૈતિક મૂલ્યોનું રક્ષણ કરે છે. યોગ્ય નાગરિક તૈયાર કરીને તે સુસંસ્કૃત અને ભયમુક્ત સમાજનો પાયો નાખે છે.
@ શિક્ષકનું કર્તવ્ય અને સમર્પણ …
શિક્ષકની અક્ષરજ્ઞાનથી જીવનજ્ઞાન સુધીની અવિરત તપસ્યા વંદનીય અને સન્માનીય છે.
શિક્ષકનું સાચું કર્તવ્ય માત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરાવવાનું નથી, પરંતુ વિદ્યાર્થીમાં જિજ્ઞાસા, વિવેકબુદ્ધિ અને રાષ્ટ્રપ્રેમ જગાડવાનું છે.
@ તટસ્થતા અને સમાનતાનો પર્યાયી એટલે શિક્ષક…
વર્ગખંડમાં દરેક વિદ્યાર્થી સમાન છે—પછી તે ગરીબ હોય કે અમીર, તેજસ્વી હોય કે નબળો.
આજીવન શિક્ષણ અને બદલાવ માટે સમર્પણ ભાવનો દરિયો એટલે શિક્ષક
ગ્રામીણ વિસ્તારોમાં કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાના અંગત સુખોનો ત્યાગ કરીને શિક્ષણ આપવું એ શિક્ષકની તપસ્યાનું જીવંત ઉદાહરણ છે.
તે વિદ્યાર્થીની નિષ્ફળતાને પોતાની જવાબદારી અને તેની સફળતાને પોતાનો વિજય ગણે છે.
@ વર્તમાન યુગમાં શિક્ષકની મુશ્કેલીઓ અને પડકારો..
તમામ પ્રકારના પડકારો સામે અડીખમ ઊભેલ હિમાલય એટલે શિક્ષક.
ડિજિટલ ક્રાંતિ વચ્ચે સંસ્કારોના સિંચનનો કઠિન પડકાર ઝીલીને
આજના ઝડપથી બદલાતા યુગમાં અનેક નવા પડકારોનો સામનો કરનાર વ્યક્તિત્વ એટલે શિક્ષક.
@ પડકાર વાસ્તવિકતા અને અસર :
બિન-શૈક્ષણિક કામગીરીનો વધતો જતો બોઝ, વસ્તીગણતરી, ચૂંટણી કામગીરી અને અન્ય વહીવટી કાર્યોથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થાય છે. છતાં દરેક ફરજને રાષ્ટ્ર ફરજ સમજીને સતત હાર માન્યા સિવાય વર્ગોને જીવંત રાખે છે વિધાર્થીઓના હૃદયને ધબકતા રાખે છે.
@ ડિજિટલ યુગનો પ્રભાવ.
પ્રવર્તમાન સમયમાં ધ્યાન ભટકાવનાર સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને વાંચન કળા ઘટી છે.
અપેક્ષાઓનો બોજ , વાલીઓ માત્ર ગુણ અને પરિણામ ઇચ્છે છે, જેનાથી સંસ્કાર અને જીવનમૂલ્યો ક્યાંક છૂટી જાય છે.
સન્માન અને સ્વાયત્તતામાં થતો જતો ઘટાડો. વ્યવસાયીકરણના કારણે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકની પ્રતિષ્ઠા અને શિસ્ત રાખવાના અધિકારો સીમિત બન્યા છે.
@ શિક્ષકનો કોઈ વિકલ્પ નથી..
શિક્ષક એ માત્ર એક પદ કે નોકરી નથી, પણ સમાજને દિશા આપતું એક જીવંત મિશન છે. ભલે ગમે તેટલી ટેક્નોલોજી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આવી જાય, પણ જે સ્નેહ, સંવેદના, માર્ગદર્શન અને જીવનમૂલ્યો તો માત્રને માત્ર એક જીવંત શિક્ષક આપી શકે છે, તેનું સ્થાન કોઈ મશીન ક્યારેય લઈ શકશે નહીં.
આ શિક્ષક દિને તમામ ગુરુજનોનો ઋણ સ્વીકાર કરતાં તેમના ચરણોમાં વંદન કરું છું અને શિક્ષકનું શિક્ષત્વ અખંડ રાખવા પ્રભુને પ્રાર્થના….. સંકલન : ડૉ ઝુઝારસંગ એન. સોઢા , ઈ.આચાર્ય પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ
