રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ, પાલિકા કેમ્પસમાં રામધૂન બોલાવી વિરોધ

રાધનપુરમાં પાયાની સુવિધાઓનાં અભાવને લઇને સ્થાનિકોને સાથે રાખી કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો -પ્રજાની રજૂઆત સાંભળવાનાં બદલે પાલિકા પ્રમુખની ચેમ્બરમાજ તાળું
પાલિકામાં ઉપપ્રમુખની ચેમ્બર ખાલી જયારે પંખા-લાઈટ ચાલુ વીજળી નૉ વેળફાટ ; ‘રાધનપુરને નરકાગાર બનાવ્યું’ કહી ચીફ ઓફિસરને ‘સર્વશ્રેષ્ઠ એવોર્ડ’ આપી કોંગ્રેસે કર્યો કટાક્ષ
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર : રાધનપુર નગરપાલિકામાં પાયાની સુવિધાઓના અભાવ અને શહેરની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસ કાર્યકરો તથા સ્થાનિકોએ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પાણી, ભૂગર્ભ ગટર, સફાઈ અને બિસ્માર રસ્તાઓ સહિતના પ્રજાના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવેલા અરજદારોને નગરપાલિકા પ્રમુખ હાજર ન મળતાં તેમની ચેમ્બરને તાળું લાગેલું જોવા મળ્યું હતું. જેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે પ્રજા પોતાની સમસ્યાઓ લઈને કચેરીએ આવે છે ત્યારે જવાબદાર પદાધિકારી જ હાજર ન હોય તો રજૂઆત કોને કરવી?
વિરોધ દરમિયાન નગરપાલિકાની કામગીરીની બીજી પણ એક સ્થિતિ સામે આવી હતી. પ્રમુખની ચેમ્બર પાસે આવેલી ઉપપ્રમુખની ચેમ્બરમાં કોઈ હાજર ન હોવા છતાં પંખા અને લાઈટ ચાલુ જોવા મળ્યા હતા. એક તરફ પ્રજા પાયાની સુવિધાઓ માટે પરેશાન છે અને બીજી તરફ ખાલી ચેમ્બરમાં વીજળીનો વેડફાટ થતો હોવાનો મુદ્દો કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિકોએ ઉઠાવી નગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો કર્યા હતા.

કોંગ્રેસ કાર્યકરો દ્વારા નગરપાલિકા કેમ્પસમાં રામધૂન બોલાવી સત્તાધીશોને સદબુદ્ધિ આવે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાધનપુરના વિવિધ વિસ્તારોમાં નિયમિત પાણી મળતું નથી અને ક્યાંક ત્રણથી પાંચ દિવસે માત્ર એક ટાઈમ પાણી મળતું હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા, ગંદકીના ઢગલા અને બિસ્માર માર્ગોની સ્થિતિને લઈને પણ કોંગ્રેસે નગરપાલિકા તંત્રને ઘેર્યું હતું. અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું કાયમી નિરાકરણ ન આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રસ્તાઓની હાલત એટલી કથળેલી હોવાનો પણ વિરોધ કરાયો હતો કે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નગરપાલિકાની કથળેલી કામગીરી સામે કટાક્ષરૂપે કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિકોએ ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડીયાતરને ‘સર્વશ્રેષ્ઠ એવોર્ડ’ આપી વિરોધ નોંધાવ્યો હતો. રાધનપુરને આવી કથળેલી સ્થિતિમાં રાખવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો. એવોર્ડ આપવાના મુદ્દે ચીફ ઓફિસર અને અરજદારો વચ્ચે તીખી બોલાચાલી થતાં પાલિકા કચેરીમાં વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસે ચીફ ઓફિસરના વર્તન સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

બીજી તરફ ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડીયાતરે ગટર અંગે ભૂગર્ભ ગટરનો ‘ફેઝ-વન ફેલ’ થયો હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસે પીવાનું પાણી આપવામાં આવતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે રાધનપુરમાં વિકાસકામો થઈ રહ્યા હોવાનો બચાવ કર્યો હતો.
આ સમગ્ર વિરોધ દરમિયાન એક તરફ પ્રજાના પ્રશ્નો લઈને આવેલા સ્થાનિકો, બીજી તરફ જવાબદાર પદાધિકારીની ગેરહાજરી, ખાલી ચેમ્બરમાં ચાલુ પંખા-લાઈટ અને ચીફ ઓફિસર સાથે થયેલી તીખી બોલાચાલી મુદ્દે નગરપાલિકા તંત્રની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
