ચોમાસામાં નર્મદા કોરી કટ

કેપિટલ મેસેજ
Capital message
ચોમાસાની મૌસમ છતાં નર્મદા નદી કોરીધાકોર: ચાંદોદના ઐતિહાસિક ઘાટો પર પાણીની પાટો ખુલ્લી પડીસરદાર સરોવર ડેમમાંથી પાણીની જાવકમાં ઘટાડો અને ઉપરવાસમાં વરસાદ ખેંચાતા દક્ષિણ પ્રયાગ તીર્થધામની દયનીય સ્થિતિ
એક તરફ મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોવાના અહેવાલો છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી પતિત પાવની માં નર્મદા નદી ચોમાસાની મૌસમમાં પણ સુકી ભઠ્ઠ ભાસી રહી છે. વરસાદના અભાવ અને સરદાર સરોવર બંધમાંથી પાણીની જાવકમાં કરાયેલા ઘટાડાને કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ ગાયબ થઈ ગયું છે, જેના કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, લગભગ દસેક દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો. જેના પરિણામે ઉચ્છ અને ઓરસંગ નદીઓનું પાણી નર્મદા નદીમાં ભળતા, આ સિઝનમાં પ્રથમવાર નર્મદામાં નવા નીર આવ્યા હતા. આ નવા નીરના આગમનથી પંથકવાસીઓ અને તીર્થક્ષેત્રના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આ ખુશી લાંબી ચાલી નહીં.ઉપરવાસમાં વરસાદ ખેંચાતા નર્મદા નદીમાં આવેલા નવા નીર ફરી ઓસરી ગયા છે. ઉપરાંત, સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાતા પાણીની જાવકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ બેવડા કારણોસર, તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી હાલ માત્ર એક પાતળા સર્પાકારે વહેતી નજરે પડી રહી છે.નદીમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે ઉતરી જવાને કારણે, ચાંદોદના ઐતિહાસિક ઘાટોની નજીક પાણીમાં ડૂબેલી રહેતી પથ્થરની પાટો અને રેતીના બેટ બહાર નીકળી આવ્યા છે, જે નદીની દયનીય સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે.નર્મદા નદીના મુખ્ય જળ પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે ચાંદોદ ખાતે રોજબરોજ પધારતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો નિરાશ થઈ રહ્યા છે.

વધુમાં, નર્મદાજીના મુખ્ય જળ પ્રવાહ પર પોતાની નાવડી હંકારીને પરિવારનું ગુજરાન ચલાવતા નાવિક શ્રમજીવીઓ પર આર્થિક સંકળામણ આવી પડી છે. નદીમાં પાણી ઓછું હોવાથી હોડીઓ ચલાવવી મુશ્કેલ બની છે, જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે.ચોમાસાની મૌસમ હોવા છતાં નર્મદા નદીના આવા જળસંકટને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
