રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો..

33 નવદંપતીઓએ મંગલ ફેરા ફરી નવા જીવનની શરૂઆત કરી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત..
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર શહેર ખાતે ચૌધરી સમાજ દ્વારા 25મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. રાધનપુર આદર્શ હોસ્ટેલ/સ્કૂલ ખાતે આયોજિત આ સમૂહ લગ્ન મહોત્સવમાં 33 નવદંપતીઓએ મંગલ ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લગ્નોત્સવને યાદગાર બનાવ્યો હતો.
સમૂહ લગ્ન મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતીઓને આશીર્વાદ પાઠવતા સમાજને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં લગ્ન પ્રસંગે થતી દેખાદેખી, ખોટા ખર્ચા અને કુરિવાજોને દૂર કરવાની જરૂર છે. સમાજે હવે સાદગીપૂર્ણ લગ્ન તરફ આગળ વધવું જોઈએ અને બચતી રકમ દીકરા-દીકરીના શિક્ષણ તથા સંસ્કાર પાછળ વાપરવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દહેજ પ્રથા, મૃત્યુ ભોજન અને અન્ય ખોટા રિવાજો સમાજ માટે નુકસાનકારક છે. શિક્ષણ અને સંસ્કાર જ સમાજની સાચી મૂડી છે અને સમાજ ત્યારે જ આગળ વધી શકે જ્યારે યુવાનોને સારા શિક્ષણ સાથે સારા મૂલ્યો આપવામાં આવે.
આ પ્રસંગે સમૂહ લગ્નના મુખ્ય ભોજનદાતા તરીકે પરબતભાઈ લગધીર ચૌધરી દ્વારા સેવા આપવામાં આવી હતી. સમાજના આગેવાનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઢોલ-નગારાના તાલે ભવ્ય વરઘોડા નીકળ્યા હતા અને લગ્ન મંડપમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવદંપતીઓએ મંગલ ફેરા ફર્યા હતા. સમગ્ર વાતાવરણમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ચૌધરી સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી સમૂહ લગ્નની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે. આ પરંપરાના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે મોટી રાહત મળી રહી છે. સાથે જ સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન અને કુરિવાજો દૂર કરવાનો સકારાત્મક સંદેશ પણ પ્રસરી રહ્યો છે.
સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આગામી વર્ષોમાં પણ વધુ વ્યાપક આયોજન સાથે આ સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવશે અને સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને એકતાને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરવામાં આવશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
