સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ : ઘર-ઘરથી સુકા અને લીલા કચરાનું અલગ સંકલન શરૂ

ગ્રામપંચાયતની અનોખી કામગીરીથી સ્વચ્છ ગામના નિર્માણને મળશે વેગ, ગ્રામજનોમાં જાગી સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital Message
સાંતલપુર તાલુકાના ગાંજીશર ગામમાં ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે હાથ ધરવામાં આવેલી કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. ગામને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના હેતુથી ગ્રામપંચાયતે ઘર-ઘર જઈ સુકા અને લીલા કચરાના અલગ-અલગ સંગ્રહ માટે વિશેષ કચરા એકત્રિત કરવાની ગાડીની સુવિધા શરૂ કરી છે. આ પહેલના કારણે ગામમાં સ્વચ્છતા જાળવવામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગામમાં શરૂ કરાયેલી આ વ્યવસ્થાના કારણે હવે રહેવાસીઓને કચરાના યોગ્ય નિકાલ માટે સરળતા મળશે. ઘરઆંગણે જ કચરો એકત્રિત થવાને કારણે રસ્તાઓ, જાહેર સ્થળો, શેરીઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ ઘટશે અને સમગ્ર ગામ વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનશે. ખાસ કરીને સુકા અને લીલા કચરાનું અલગથી સંકલન થવાને કારણે કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને રિસાયક્લિંગની પ્રક્રિયાને પણ વેગ મળશે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગ્રામપંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા ગામના વિકાસ અને સ્વચ્છતા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. નિયમિત રીતે કચરો એકત્ર થવાથી ગંદકીજન્ય રોગચાળો અટકાવવામાં મદદ મળશે તેમજ પર્યાવરણને પણ નુકસાન ઓછું થશે. આ સાથે ગામમાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ મહત્વનો હેતુ સિદ્ધ થઈ રહ્યો છે.
ગાંજીશર ગ્રામપંચાયતની આ પહેલ માત્ર સ્વચ્છ ગામના નિર્માણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પણ બની છે. ગ્રામજનો અને આગેવાનો દ્વારા ગ્રામપંચાયતના આ પ્રયાસને બિરદાવવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવી જ લોકહિતની સેવાઓ સતત ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા ગ્રામજનોનો સહયોગ પણ એટલો જ જરૂરી હોવાનું ગ્રામપંચાયત દ્વારા જણાવાયું છે. ગામના વિકાસ અને સ્વચ્છતા માટે શરૂ કરાયેલી આ પહેલ અન્ય ગ્રામપંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
અહેવાલ : અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
