સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રિજિયોનલ સાયન્સ સેન્ટર અને તાલુકા સેવા સદનનું સંયુક્ત શ્રમદાન

સ્વચ્છતાને જીવનશૈલી બનાવવાનો સંદેશ: જાહેર સ્થળોની સફાઈ સાથે સ્વચ્છતાનો સંકલ્પ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ અને સરસ્વતી તાલુકા સેવા સદનના સંયુક્ત ઉપક્રમે તા. 13 જૂન, 2026ના રોજ નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ તેમજ ‘સ્વચ્છ ભારત મિશન (અર્બન)’ કાર્યક્રમ હેઠળ વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાનો, નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો તથા સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણ માટે સૌને પ્રેરિત કરવાનો હતો.
અભિયાન દરમિયાન રિજિયોનલ સાયન્સ સેન્ટર અને સરસ્વતી તાલુકા સેવા સદનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અન્ય સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત સાયન્સ સેન્ટર, તાલુકા સેવા સદનના કેમ્પસ તેમજ આસપાસના માર્ગો અને જાહેર વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સહભાગીઓએ કચરો એકત્રિત કરી પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શ્રમદાન કર્યું હતું.

આ પ્રસંગે સરસ્વતી તાલુકાના મામલતદાર સતીશ બોડાણાએ ઉપસ્થિત સૌને સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અને વડાપ્રધાન ના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે.
કાર્યક્રમના અંતે રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા કોઈ એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ દૈનિક જીવનશૈલીનો અભિન્ન ભાગ બનવી જોઈએ. સ્વચ્છ પરિસર અને સ્વચ્છ વિચારસરણી દ્વારા જ સ્વસ્થ સમાજ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.
આ સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છતા પ્રત્યેનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો અને સમાજમાં સ્વચ્છતા અંગે સકારાત્મક પરિવર્તન લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
