પાટણના લાલ સાહેબ સમાધિ સ્થાને ભક્તિ, સેવા અને સંસ્કારનો અલૌકિક સંગમ

પુરુષોત્તમ માસની અગિયારસે પિતૃ તૃપ્તિ માટે ફરાળ પ્રસાદ સાથે ભજન-સત્સંગ યોજાયો, ભક્તિમય વાતાવરણમાં ભાવિકો થયા ભાવવિભોર
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણના મીરા દરવાજા વિસ્તારના લક્ષ્મીપરામાં આવેલ જીવંત સમાધિ સ્થાન સંત શ્રી લાલ સાહેબ તથા રાઘવેન્દ્ર સરકાર પરિવાર મંદિરે પુરુષોત્તમ માસની પવિત્ર અગિયારસના અવસરે ગુરુવારના રોજ ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરપૂર ભજન-સત્સંગનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. વંદનીય રતિલાલ રામચંદજી પરિવારના હસ્તે તથા મનીષાબેન વિનોદકુમાર ઠક્કરના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી ભક્તિરસનો લાભ લીધો હતો.
રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પિતૃઓની તૃપ્તિ અને તેમની સ્મૃતિને વંદનરૂપે ફરાળ (ભોજન પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ભજનોની મધુર સરવાણી અને સત્સંગના પાવન માહોલે સમગ્ર મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું. ઉપસ્થિત ભક્તોએ હરિનામ સંકીર્તન સાથે આત્મિક શાંતિ અને પરમાનંદની અનુભૂતિ કરી હતી.
લાલ સાહેબ કમિટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ પવિત્ર ધામ તમામ સમાજના ભક્તો માટે ખુલ્લું છે. અગિયારસના દિવસે ભજન-સત્સંગ તથા અમાસના દિવસે આનંદના ગરબાના કાર્યક્રમો યોજવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત માતા-પિતાની પુણ્યતિથિ, જન્મજયંતિ, લગ્નવર્ષગાંઠ, બાળકોના શુભ પ્રસંગો સહિત વિવિધ સામાજિક અને ધાર્મિક અવસરો પર પણ ભક્તો અહીં કાર્યક્રમો યોજી શકે છે.

દાતાઓના સહયોગથી નિર્માણ પામેલા સુવિધાસભર એર કન્ડિશન હોલ, ઠંડા પાણી, ચા-કોફી તથા પ્રસાદની વ્યવસ્થાઓના કારણે અહીં આવનારા ભક્તોને આધ્યાત્મિકતા સાથે આરામદાયક વાતાવરણ પણ પ્રાપ્ત થાય છે. બહારગામથી આવતાં ભજન મંડળો પણ પોતાની વાણી દ્વારા ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરે છે. સાથે વિશિષ્ટ મહેમાનો માં ભગિની સમાજમાંથી લીલાબેન સ્વામી અને વાલીબેન પટેલ પણ પધાર્યા હતા.
ભક્તજનોનું માનવું છે કે આજના આધુનિક યુગમાં ટેલિવિઝન અને અન્ય મનોરંજનના સાધનો કરતાં ભજન-સત્સંગ અને ગરબામાં મળતો આનંદ અનોખો અને દિવ્ય હોય છે. અહીં ભક્તિ સાથે મળતો પરમાનંદ મનને શાંતિ, સંસ્કાર અને જીવનને નવી દિશા આપે છે.
આ પ્રસંગે આયોજકોએ સર્વે ભક્તોને આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈ ભક્તિનો લાભ લેવા તેમજ માનવજીવનને સાર્થક બનાવવા અપીલ કરી હતી. ભક્તિ, સેવા અને સંસ્કારના આ પવિત્ર કેન્દ્રમાં સતત યોજાતા કાર્યક્રમો સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પ્રસરાવી રહ્યા છે.
