૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

સેવા, સુશાસન અને જનકલ્યાણનો સંગમ:
પાટણ જિલ્લામાં જનકલ્યાણ શિબિરોનો પ્રારંભ
એક જ સ્થળે અનેક યોજનાઓના લાભથી નાગરિકોમાં ખુશીનો માહોલ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેમજ છેવાડાના માનવીને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુસર રાજ્યભરમાં તા. ૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ થીમ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરો યોજાઈ હતી, જેમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો.
વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના રાષ્ટ્રીય સંકલ્પ અને રાજ્ય સરકારના વિકસિત ગુજરાત@૨૦૪૭ના ધ્યેયને જનભાગીદારી દ્વારા વધુ ગતિ આપવા હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર (સાતુન પ્રાથમિક શાળા), સાંતલપુર તાલુકાના વારાહી પ્રાથમિક શાળા, શંખેશ્વર તાલુકાના કુંવારદ પ્રાથમિક શાળા, સિદ્ધપુર તાલુકાના બિલિયા પ્રાથમિક શાળા, સમી તાલુકાના સોનાર પ્રાથમિક શાળા, સરસ્વતી તાલુકાના મેસર પ્રાથમિક શાળા, ચાણસ્મા તાલુકાના સુણસર પ્રાથમિક શાળા, પાટણ તાલુકાના કુણઘેર પ્રાથમિક શાળા તેમજ સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારના રાજપુર કુમાર પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરોમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, ફ્રીશિપ કાર્ડ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષી સહાય યોજના, સરસ્વતી યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય આવશ્યક સેવાઓને લગતી કામગીરી પણ સ્થળ પર જ કરવામાં આવી હતી.

જનકલ્યાણ શિબિરો દ્વારા નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા વગર એક જ સ્થળે વિવિધ યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને લાભ ઉપલબ્ધ થતા લોકોએ સરકારની આ લોકકલ્યાણકારી પહેલને આવકારી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલી શિબિરોમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી યોજનાઓનો લાભ મેળવ્યો હતો અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ જનકલ્યાણ શિબિરો રાજ્ય સરકારના “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ના અભિગમને વધુ મજબૂત બનાવવાની સાથે નાગરિકો સુધી સરકારની યોજનાઓને અસરકારક રીતે પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થઈ રહી છે.
