વિકસિત ભારત સંકલ્પ અભિયાન પાટણ ખાસ લેખ
૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જન કલ્યાણના
પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના
હજારો નાના વેપારીઓને મળ્યો વ્યવસાય વિકાસનો સહારો, કરોડો રૂપિયાની સહાયથી આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધતું પાટણ
પાટણ નગરપાલિકાની અસરકારક કામગીરી : ૩,૨૩૮ નાના વેપારીઓને રૂ. ૫.૬૧ કરોડથી વધુની આર્થિક સહાય
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
શહેરના રસ્તાઓ પર શાકભાજી, ફળફ્રૂટ, ચા-નાસ્તો, કપડાં અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા શેરી ફેરિયાઓ અને હાથલારી ધારકો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પી.એમ. સ્વનિધિ) યોજના જીવનમાં નવી આશા લઈને આવી છે. કોરોના મહામારીના કપરા સમયમાં નાના વેપારીઓને ફરીથી ઉભા કરવા માટે શરૂ કરાયેલી આ યોજના આજે હજારો પરિવારોના આર્થિક સશક્તિકરણનું અસરકારક સાધન બની છે.
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ શેરી ફેરિયાઓને ગેરંટી વિના સરળ શરતો પર ધિરાણ આપવામાં આવે છે. વ્યવસાય માટે જરૂરી મૂડી મળતા નાના વેપારીઓને હવે વ્યાજખોરો પાસે જવાની જરૂર રહેતી નથી અને તેઓ આત્મવિશ્વાસ સાથે પોતાનો ધંધો વિસ્તારી શકે છે.
પાટણ નગરપાલિકા દ્વારા યોજનાના અસરકારક અમલીકરણના પરિણામે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને આર્થિક સહાય પહોંચાડવામાં સફળતા મળી છે. પ્રથમ તબક્કામાં 1972 શેરી ફેરિયાઓને કુલ રૂ. 1.99 કરોડથી વધુની લોન આપવામાં આવી છે. ત્યારબાદ સમયસર લોન પરત કરનાર 933 લાભાર્થીઓને બીજા તબક્કામાં રૂ. 1.96 કરોડની સહાય આપવામાં આવી છે. એટલું જ નહીં, વ્યવસાયમાં પ્રગતિ કરનારા 333 લાભાર્થીઓને ત્રીજા તબક્કામાં કુલ રૂ. 1.66 કરોડથી વધુની લોન મંજૂર કરવામાં આવી છે. આ રીતે પાટણ શહેરમાં હજારો નાના વેપારીઓને મળેલી કરોડો રૂપિયાની સહાય તેમના જીવનધંધામાં નવી ઉર્જા પૂરવાર થઈ છે.
યોજનાની વિશેષતા એ છે કે લાભાર્થીને પ્રથમ તબક્કામાં રૂ. 15,000, બીજા તબક્કામાં રૂ. 25,000 અને ત્રીજા તબક્કામાં રૂ. 50,000 સુધીની લોન ઉપલબ્ધ થાય છે. સમયસર હપ્તા ભરનારા લાભાર્થીઓને આગામી તબક્કાની વધુ રકમની લોન સરળતાથી મળી રહે છે. ઉપરાંત બેંક લોન પર 7 ટકા વ્યાજ સહાય તેમજ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા કેશબેકની સુવિધા પણ આપવામાં આવે છે.
પી.એમ. સ્વનિધિ યોજના માત્ર ધિરાણ પૂરું પાડતી યોજના નથી, પરંતુ નાના વેપારીઓને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડીને ડિજિટલ અર્થતંત્રનો ભાગ બનાવે છે. પરિણામે શેરી ફેરિયાઓની આર્થિક વિશ્વસનીયતા વધે છે અને તેઓ ભવિષ્યમાં અન્ય નાણાકીય સેવાઓનો પણ લાભ મેળવી શકે છે.
પાટણ નગરપાલિકાના સતત પ્રયાસોથી યોજનાનો લાભ વધુને વધુ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. શહેરના અનેક ફેરિયાઓએ આ યોજનાથી મળેલી સહાયના આધારે પોતાનો વ્યવસાય વિસ્તારી આવકમાં વધારો કર્યો છે. જેના કારણે યોજના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
નાના વેપારીઓને સ્વાવલંબન અને વિકાસનો નવો માર્ગ બતાવતી પી.એમ. સ્વનિધિ યોજના આજે પાટણ શહેરના હજારો પરિવારો માટે પ્રગતિ અને સમૃદ્ધિનું પ્રતીક બની છે.
