સંત શિરોમણી ગુરુ શ્રીરવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી ભવ્ય કળશ યાત્રાનું પાટણ જિલ્લામાં ભવ્ય સ્વાગત

સમરસતાનો સંદેશ લઈને નીકળેલી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનું સિદ્ધપુરમાં ભવ્ય સ્વાગત
કેપિટલ મેસેજ
Capital message
સિદ્ધપુર : સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે “સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત અંબાજીથી અમદાવાદના જગન્નાથ મંદિર સુધી આયોજિત ભવ્ય કળશ યાત્રાનું પાટણ જિલ્લામાં ધારેવાડા મુકામે આગમન થતાં વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જિલ્લાની હદમાં પ્રવેશતા જ ધારેવાડા ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે આધ્યાત્મિક માહોલમાં યાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી દેથળી ચાર રસ્તા ખાતે સંતો-મહંતો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
સિદ્ધપુરના પવિત્ર બિંદુ સરોવર ખાતે બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા પણ કળશ યાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી ગુરુ રવિદાસ મહારાજને ભાવપૂર્વક વંદન કર્યું હતું.

આ કળશ યાત્રામાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની જન્મભૂમિ કાશીની પવિત્ર માટીયુક્ત કળશનું દર્શન કરાવવામાં આવી રહ્યું છે. સમગ્ર યાત્રા દરમિયાન ગુરુ રવિદાસ મહારાજના સમાનતા, માનવતા, ભાઈચારા, સમરસતા અને સેવાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના આદર્શો આજે પણ ભેદભાવમુક્ત, સમાનતાયુક્ત અને સુસંસ્કૃત સમાજના નિર્માણ માટે પ્રેરણારૂપ બન્યા છે.
દેથળી ખાતે યોજાયેલા સ્વાગત સમારોહમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, APMC ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી સહિત જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, સંતો-મહંતો, વિવિધ મોરચાના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જાહેર સભા દરમિયાન ગુરુ રવિદાસ મહારાજના “મન ચંગા તો કઠૌતી મેં ગંગા”ના જીવનદર્શન સાથે સામાજિક સમરસતા, એકતા અને માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સિદ્ધપુરમાં ભવ્ય સ્વાગત બાદ કળશ યાત્રા બિંદુ સરોવરથી મહેસાણા જિલ્લા તરફ પ્રયાણ કરી હતી.
રિપોર્ટર: રાજેશ જાદવ, પાટણ
