રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ભક્તિભાવ, કૃષ્ણ ભજનો અને ગરબાથી ગામ બન્યું કૃષ્ણમય- પિતા વાસુદેવ અને પુત્ર કાનુડાના રૂપે સજ્જ થયેલા ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા:
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગામના રામજી મંદિર ખાતે યોજાયેલા જન્મોત્સવને લઈને સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. મંદિરને આકર્ષક લાઈટોના શણગારથી સજાવવામાં આવતા રામજી મંદિર પરિસરનું વાતાવરણ વધુ આકર્ષક બન્યું હતું.
જન્માષ્ટમી નિમિત્તે રામજી મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા કૃષ્ણ ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળની બહેનોએ ભક્તિભાવપૂર્વક કૃષ્ણ ભજનો રજૂ કરી ઉપસ્થિત ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. ભજનોના સૂર સાથે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.

આ સાથે રામજી મંદિરના ચોકમાં ભક્તો દ્વારા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભક્તિ, સંગીત અને ગરબાના સંગમથી જન્માષ્ટમીની ઉજવણીમાં અનોખો રંગ જોવા મળ્યો હતો.
પિતા-પુત્રની વેશભૂષાએ સૌનું મન મોહી લીધું:
શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી દરમિયાન પિતા વાસુદેવ અને પુત્ર કાનુડાના રૂપમાં સજ્જ થયેલા ભક્તો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પિતા-પુત્રની આ અનોખી વેશભૂષાએ ઉપસ્થિત ભક્તો અને ગ્રામજનોનું મન મોહી લીધું હતું. કૃષ્ણ-વાસુદેવના આ રૂપમાં મઁદિરના પૂજારી સાધુ કાશીરામબાપુ દ્વારા શ્રી કૃષ્ણ ને હરખભેર વાસુદેવ બની મંદિર પરિસરમા પહોંચ્યા હતાં.જન્માષ્ટમીની આ ભવ્ય ઉજવણીમાં ભક્તિ સાથે સંસ્કૃતિ અને ગામમાં પરંપરાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
મધરાતે કૃષ્ણ જન્મ થતાં જ આનંદ છવાયો:

રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર મધરાતે કૃષ્ણ જન્મ થતાં જ રામજી મંદિર પરિસરમાં ભક્તોમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. રામજી મંદિરનાં પૂજારી સાધુ કાશીરામદાસ બાપુઍ શ્રદ્ધાભેર ભક્તિનાં શુરે ભવ્ય આરતી અને શ્રી કૃષ્ણ ધૂન બોલાવી ગ્રામજનો સાથે ભક્તોએ ભજન-ભાવ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી કલ્યાણપુરા ગામે આ વર્ષે પણ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. ભક્તિ, સંગીત, ગરબા અને ધાર્મિક માહોલના અનોખા સંગમથી સમગ્ર ગામ કૃષ્ણમય બની ગયું હતું.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
