નજુપુરા ગામમાં ચૂંટણી બહિષ્કાર યથાવત : નર્મદા સિંચાઈના પાણીના પ્રશ્ને ગ્રામજનોનો અડગ વિરોધ, તંત્રના આશ્વાસન છતાં વિરોધ યથાવત

નજુપુરા ગામમાં પાણીનો પ્રશ્ન ચૂંટણીના કેન્દ્રમાં આવી ગયો- ગ્રામજનોનો વિરોધ અડગ,આગામી સમયમાં તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે અને તેનો ચૂંટણી પરિણામ પર કેટલો પ્રભાવ રહેશે..!!
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ પાણીનો પ્રશ્ન રાજકીય મુદ્દો બની ઊભો રહ્યો છે. છેલ્લા લાંબા સમયથી નર્મદાનું સિંચાઈનું પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને હવે આ અસંતોષ ચૂંટણી બહિષ્કારના સ્વરૂપે સામે આવ્યો છે. તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા મનાવવાના પ્રયાસો છતાં ગ્રામજનો પોતાના નિર્ણય પર અડગ રહી વિરોધ યથાવત રાખી રહ્યા છે.
નજુપુરા ગામના ખેડૂતો છેલ્લા લગભગ દસ વર્ષથી સિંચાઈના પાણી માટે તરસી રહ્યા છે. વર્ષો પહેલાં નર્મદા વિભાગ દ્વારા ગામમાં અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવામાં આવી હતી, જેના કારણે ખેડૂતોમાં આશા જાગી હતી કે ખેતરો સુધી નિયમિત રીતે પાણી પહોંચશે અને ખેતીમાં સારો ઉત્પાદન મળશે. પરંતુ સમય જતાં આ આશા નિરાશામાં ફેરવાઈ છે, કારણ કે હાલની પાઈપલાઈન ક્ષમતા મુજબ પૂરતું પાણી પહોંચાડી શકતી નથી.

ખેડૂતોના જણાવ્યા મુજબ, ગામની હજારો વિઘા જમીન હજુ પણ સિંચાઈના અભાવે સૂકી પડી રહી છે, જેના કારણે કૃષિ ઉત્પાદન પર ગંભીર અસર પડી રહી છે. ખેતી આધારિત જીવન જીવતા ગ્રામજનો માટે આ સમસ્યા હવે જીવન-મરણનો પ્રશ્ન બની ગઈ છે. આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં સંતોષકારક ઉકેલ ન આવતા ગ્રામજનોએ હવે કડક વલણ અપનાવ્યું છે.
ગ્રામજનોની આક્રોશભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ નર્મદા વિભાગના અધિકારીઓ નજુપુરા ગામે પહોંચી ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન નર્મદા વિભાગના અધિકારીએ હાલની માઇનોર કેનાલ લાઈનને સુધારીને તાત્કાલિક પાણી પહોંચાડવાની ખાતરી આપી હતી. સાથે સાથે નવી અને વધુ ક્ષમતાવાળી પાઈપલાઈન માટે એકથી બે વર્ષનો સમય લાગશે તેવું પણ જણાવ્યું હતું.
પરંતુ ગ્રામજનોએ આ આશ્વાસનને અસ્વીકાર્યું છે. તેઓનો સ્પષ્ટ મત છે કે તાત્કાલિક વ્યવસ્થાઓથી સમસ્યાનો સ્થાયી ઉકેલ શક્ય નથી. ખેડૂતોનું કહેવું છે કે હાલની પાઈપલાઈન નાની અને અપૂર્ણ ક્ષમતાવાળી હોવાથી ગામના તમામ ખેતરો સુધી પાણી પહોંચતું નથી. તેથી તેઓ માત્ર નવી અને પૂરતી ક્ષમતા ધરાવતી પાઈપલાઈન નાખવાની જ માંગ પર અડગ રહ્યા છે.

ગ્રામજન નીતિશભાઈ ચૌધરી અને સુરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, “વર્ષોથી પાણી માટે ભટક્યા છીએ, અનેક રજૂઆતો છતાં ઉકેલ મળ્યો નથી. હવે અડધી-અધૂરી વ્યવસ્થા સ્વીકાર્ય નથી. જ્યાં સુધી સંપૂર્ણ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર યથાવત રહેશે.”
ગામના જૂના અને નવા બંને વિસ્તારોના ગ્રામજનો એકજૂટ થઈ આંદોલન ચલાવી રહ્યા છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. ચૂંટણી પહેલા ઉભી થયેલી આ પરિસ્થિતિ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ બની રહી છે, કારણ કે ગામનો મોટો મતદાતા વર્ગ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લઈ ચૂક્યો છે.
આ સમગ્ર મામલે તંત્ર માટે પડકાર ઉભો થયો છે કે કેવી રીતે ગ્રામજનોનો વિશ્વાસ જીતવો અને સમયસર ઉકેલ લાવી સ્થિતિને સામાન્ય બનાવવી. હાલ તો નજુપુરા ગામમાં પાણીનો પ્રશ્ન ચૂંટણીના કેન્દ્રમાં આવી ગયો છે અને ગ્રામજનોનો વિરોધ અડગ રહ્યો છે.આગામી સમયમાં તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે અને તેનો ચૂંટણી પરિણામ પર કેટલો પ્રભાવ પડે છે, તે જોવાનું રહ્યું.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
