પાટણમાં “ઇવીએમ હટાવો- લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ યોજાઈ

રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ વામન મેશ્રામની અધ્યક્ષતામાં પાટણમાં “ઇવીએમ હટાવો- લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ યોજાઈ, બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ભારત મુક્તિ મોરચા, રાષ્ટ્રીય પીછડા વર્ગ (ઓબીસી) મોરચા, બહુજન ક્રાંતિ મોરચા તથા રાષ્ટ્રીય પરિવર્તન મોરચાના સંયુક્ત બેનર હેઠળ “ઇવીએમ મશીન હટાવો-લોકતંત્ર બચાવો, બેલેટ પેપરથી ચૂંટણી યોજો” જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર ગોષ્ઠિ યોજાઈ હતી.
કાર્યક્રમની શરૂઆત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરીને “જય ભીમ, જય સંવિધાન, જય મૂળનિવાસી” ના નારાઓ સાથે કરવામાં આવી હતી. બૌદ્ધ ભિક્ષુ માનનીય પથિક ભન્તેએ સમાનતા અને ભાઈચારાના બૌદ્ધ વિચારોથી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમના ઉદ્ઘાટન માનનીય રવિન્દ્રસિંહ બિદાવત (રાષ્ટ્રીય પ્રભારી, ક્ષત્રિય મૂળનિવાસી મહાસંઘ) દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે માનનીય મહારામ હાથલા (મહાસચિવ, બામસેફ, નવી દિલ્હી), ડૉ. જે. જી. પરમાર (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આઈએમપીએ), ગિરીશભાઈ મકવાણા (સામાજિક અગ્રણી અને નિવૃત નાયબ મામલતદાર), તારક ઠાકોર (કન્વીનર, ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ), અશોકભાઈ રાઠોડ (રાજ્ય અધ્યક્ષ, બીએમપી), અનિલભાઈ સોલંકી (પૂર્વ કાઉન્સેલર, સિદ્ધપુર નગરપાલિકા), લાલાજી ઠાકોર, મહમદ હુસૈન શેખ, કિરણબેન સોલંકી, જે. કે. મકવાણા અને ચેતનભાઈ સાલવી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની અધ્યક્ષતા ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા બહુજન ક્રાંતિ મોરચાના રાષ્ટ્રીય સંયોજક માનનીય વામન મેશ્રામ દ્વારા કરવામાં આવી હતી. તેમણે વિષય પર વિગતવાર માર્ગદર્શન આપતા લોકજાગૃતિ ફેલાવી હતી.

વિચાર ગોષ્ઠિ દરમિયાન ઇવીએમ મશીનો દૂર કરીને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ સાથે ઓબીસી વર્ગની જાતિ આધારિત વસ્તી ગણતરી ન થવી, યુવાઓને કાયમી નોકરીના બદલે કરાર આધારિત ભરતીથી નુકસાન થતું હોવું જેવા મુદ્દાઓ પર ગંભીર ચિંતન વ્યક્ત કરવામાં આવ્યું હતું. વિવિધ નિવૃત અધિકારીઓ અને સામાજિક આગેવાનો દ્વારા પણ પોતાના વક્તવ્યમાં સામાજિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન લોકશાહી પ્રણાલીના વિવિધ સ્તંભો પર ચર્ચા કરવામાં આવી હતી અને સમાજના પછાત વર્ગોના હક્ક-અધિકારો અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા ભારત મુક્તિ મોરચા યુનિટ દ્વારા આંદોલન નિર્માણ માટે ઘર-ઘર જઈ ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાંથી રૂપિયા ૫૦,૦૦૦ નું યોગદાન રાષ્ટ્રીય અધ્યક્ષને અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ એક મુસ્લિમ ફકીર વ્યક્તિએ પોતાના સમર્પણ રૂપે રૂપિયા ૧૧ આપી પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેપ્ટન સ્મિથ પાર્કર દ્વારા કરવામાં આવ્યું હતું. ચૂંટણી આચાર સંહિતાનું પાલન રાખીને કાર્યક્રમનું સમાપન રાત્રે 10 વાગ્યે કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ
