ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી: ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સંસ્કાર અને સંસ્કૃતિનો સંગમ

બાલવાટિકાના વિદ્યાર્થીઓએ માતાના ચંદન અને પિતાના કંકુથી રૂમાલ પર ચરણચિહ્ન અંકિત કરી ‘માતા-પિતા જ પ્રથમ ગુરુ’નો સંદેશ આપ્યો
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય અને ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ એ ગુરુના મહિમાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યો દર્શાવતું નાટક રજૂ કર્યું, જેમાં ગુરુના જીવનમાં રહેલા અમૂલ્ય યોગદાનને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભક્તિ દર્શાવતા મનમોહક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.
વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર પ્રેરણાદાયી સંદેશો રજૂ કરતાં જણાવ્યું કે, “ગુરુ માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ જીવન જીવવાની સાચી દિશા અને મૂલ્યો પણ શીખવે છે. ગુરુના માર્ગદર્શનથી જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા અને સંસ્કાર બંને પ્રાપ્ત કરી શકે છે.”

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બાલવાટિકા વિભાગના નાનકડા વિદ્યાર્થીઓ રહ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બાલવાટિકાના વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા સાથે શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ રૂમાલ પર માતાના ચંદનથી અને પિતાના કંકુથી ચરણચિહ્નો અંકિત કરી પોતાના જીવનના પ્રથમ ગુરુ એવા માતા-પિતા પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કર્યો. આ અનોખી અને સંસ્કારસભર પ્રવૃત્તિએ ‘માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ’ ના ભારતીય સંસ્કૃતિના શાશ્વત સંદેશને જીવંત કર્યો અને ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા.
શાળાના આચાર્ય ડૉ. ચિરાગ પટેલએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુરુ પૂર્ણિમા માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ શિક્ષકો તેમજ માતા-પિતા પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને જીવનમૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા આપતો પવિત્ર અવસર છે. BIPS માં શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો અને ચારિત્ર્ય નિર્માણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.
