રાધનપુર APMC
માં ત્રિવિધ લોકાર્પણ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિ-સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રાધનપુર એપીએમસી ખાતે ત્રિવિધ લોકાર્પણ
બનાસ બેંકની નવી શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડની ખેડૂતોને મળી આધુનિક સુવિધાઓ
ખેડૂતોના હિતમાં લેવાતા નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપી રહ્યા છે:વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ વિસ્તારના ખેડૂતોએ વિકાસનું પ્રેરણાદાયી મોડેલ ઊભું કર્યું છે:કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ખાતે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં બનાસ બેંકની માર્કેટયાર્ડ રાધનપુર શાખાના નવીન મકાન, એપીએમસીના નવા કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ તથા ઓપન ઓક્શન શેડના ત્રિવિધ લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજાયો.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારની પાણીની સમસ્યાના સ્થાયી ઉકેલ માટે રાજ્ય સરકારે ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી ખેડૂતોની સમસ્યાઓને નજીકથી સમજી ખેડૂતહિતના નિર્ણયો લેવામાં સક્રિય હોવાનું જણાવ્યું હતું. તેમણે એપીએમસી દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગામી સમયમાં ખેડૂતોને ગોબરમાંથી વધારાની આવક મળે તે માટે ગોબરધન પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી.
આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાધનપુર-સાંતલપુર વિસ્તારની મુલાકાત દરમિયાન ખેડૂતો અને પશુપાલકોની મહેનત તથા પ્રગતિથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચતાં ખેડૂતોના વિકાસ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે. ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત બનાવી ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પણ ખેડૂતોને વિવિધ સહાય અને યોજનાઓ દ્વારા વધુ સશક્ત બનાવવા પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું.

મંત્રીએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ પરિસ્થિતિ અને ખારાશવાળી જમીન હોવા છતાં આ વિસ્તારના ખેડૂતોએ બાગાયતી ખેતી દ્વારા સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. ખેતી ક્ષેત્રે યુવાનોની વધતી ભાગીદારીને તેમણે આવકારતા પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને સોલાર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌને અનુરોધ કર્યો હતો. સાથે જ માર્કેટયાર્ડ ખાતે શરૂ થયેલી નવી સુવિધાઓ માટે શુભેચ્છા પાઠવી હતી.
રાજ્યકક્ષાના ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી અને જિલ્લા પ્રભારી સ્વરૂપજી ઠાકોરે સ્વાગત પ્રવચન કરતાં તમામ મહાનુભાવોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારના ખેડૂતોએ ખારાશવાળી જમીનમાં પણ સફળતાપૂર્વક ખારેકની ખેતી કરી સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ત્રિવિધ લોકાર્પણ સમારોહમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, એપીએમસી રાધનપુરના ચેરમેન બાબુભાઈ ચૌધરી, પાટણ- બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
