સમી : જૂના બસ સ્ટેન્ડ પર ગંદકીનું સામ્રાજ્ય : દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી વચ્ચે સમી જૂના બસ સ્ટેન્ડની દયનીય હાલત : ગંદકી અને દુર્ગંધથી જનતા ત્રસ્ત, તંત્ર સામે ઉઠ્યા સવાલો-
કેપિટલ મેસેજ, ન્યુઝ
સમી શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારની હાલત દિવસેને દિવસે દયનીય બનતી જઈ રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છૅ સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છૅ. જેના કારણે સ્થાનિક લોકો તેમજ બહારથી આવતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જાહેર સ્થળ હોવા છતાં સ્વચ્છતા અંગે કોઈ જ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નચિન્હ ઉભા થયા છે.
જૂના બસ સ્ટેન્ડ નજીક ત્રણ ધાર્મિક સ્થળો આવેલા હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવે છે. પરંતુ આસપાસ ફેલાયેલી ગંદકી અને અસહ્ય દુર્ગંધના કારણે ભક્તોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પવિત્ર સ્થળો આસપાસ જ આવી ગંદકી હોવું સ્થાનિકોમાં નારાજગીનું મુખ્ય કારણ બન્યું છે.
વિસ્તારમાં જમા થતી કચરાની ઢગલાઓ, ગંદા પાણીના થાંભલા અને અયોગ્ય સફાઈના કારણે આખો વિસ્તાર દુર્ગંધથી ભરાઈ ગયો છે. જેના કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને વડીલો, બાળકો અને મહિલાઓ માટે આ પરિસ્થિતિ વધુ કષ્ટદાયક બની રહી છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે લાંબા સમયથી સફાઈ અને જાળવણીના અભાવે અહીં આરોગ્ય સંબંધિત જોખમ ઊભા થયા છે. મચ્છરો અને જીવાતોનું પ્રમાણ વધતા રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ વ્યાપી રહી છે. છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

આ ઉપરાંત, જૂનો બસ સ્ટેન્ડ હોવાને કારણે આજુબાજુના ગામડાઓમાં જવા આવતા મુસાફરોને પણ ભારે તકલીફો વેઠવી પડે છે. બેસવાની, રાહ જોવાની કે મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સમી ગ્રામપંચાયત આ ગંભીર સમસ્યાને લઇને સંપૂર્ણ નિષ્ક્રિય બની છે અને તંત્ર હજુ સુધી ‘નિંદ્રામાં’ હોય તેવી સ્થિતિ જણાઈ રહી છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ વધતો જઈ રહ્યો છે.
હવે સમયની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ મુદ્દે ગંભીરતા દાખવી સ્વચ્છતા અભિયાન હાથ ધરે, નિયમિત સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને જરૂરી સુવિધાઓ ઉભી કરે, જેથી જનતા અને દર્શનાર્થીઓને રાહત મળી શકે.
સમીના જૂના બસ સ્ટેન્ડની આ દયનીય સ્થિતિ માત્ર સ્વચ્છતા જ નહીં પરંતુ જાહેર આરોગ્ય અને નાગરિક સુવિધાઓ માટે પણ ચિંતાનો વિષય બની છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને લોકોની આ વેદનાને ક્યારે અંત મળશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર (પાટણ)
