સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી, બજાર બંધ સાથે ભક્તિમય માહોલ

સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામ ખાતે ચૈત્ર વદ આઠમ નિમિત્તે ગામભરમાં અનોખી આસ્થાની પરંપરા, સંપૂર્ણ બજાર બંધ સાથે ભક્તિમય માહોલ….
ધંધા બંધ, વાહનો બંધ, પણ આસ્થા અખંડ : વરાણા ગામે ચૈત્ર વદ આઠમની અનોખી પરંપરા..
જ્યા સાયકલ પણ ન ચાલે એવું આસ્થાનું ગામ : ચૈત્ર વદ આઠમે વરાણા સંપૂર્ણ બંધ- વર્ષોજૂની ધાર્મિક પરંપરા સમગ્ર ગ્રામજનો દ્વારા આજે પણ ગામજનો માટે આસ્થાનું અવિનાશી પ્રતિક….
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલું પ્રસિદ્ધ ખોડિયાર ધામ ચૈત્ર વદ આઠમના પવિત્ર દિવસે આસ્થા, શ્રદ્ધા અને વર્ષોજૂની પરંપરાનું અનોખું પ્રતિક બની ઊભરતું જોવા મળે છે. સમગ્ર ગુજરાતભરમાં ખ્યાતિ પ્રાપ્ત આ ખોડિયાર ધામમાં વર્ષ દરમિયાન તેમજ ખાસ તહેવાર-પર્વના પ્રસંગોએ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે.
વરાણા ગામમાં ચૈત્ર વદ આઠમનો દિવસ વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સ્થાનિક માન્યતાઓ અને પરંપરા મુજબ ઈ.સ. 1365ની સાલથી ફૂલડા ચારણ પરિવાર દ્વારા મા ખોડિયારના બેસણા કરવામાં આવ્યા બાદથી આ ગામમાં ચૈત્ર વદ આઠમનો દિવસ વિશેષ ભક્તિભાવ અને અખંડ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. સદીઓથી જળવાઈ રહેલી આ પરંપરા આજે પણ ગામજનો માટે આસ્થાનું અવિનાશી પ્રતિક બની રહી છે.

આ પવિત્ર દિવસે ગામના તમામ ગ્રામજનો વર્ષોથી ચાલી આવતી પરંપરાને અખંડિત રીતે જાળવી રાખતા પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખે છે. ગામના વેપારીઓ પોતાની દુકાનો, વેપાર-વાણિજ્ય તેમજ રોજિંદા કારોબાર સ્વેચ્છાએ બંધ રાખીને માતાજી પ્રત્યેની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરે છે. ચૈત્ર વદ આઠમના દિવસે સમગ્ર વરાણા ગામમાં એક અનોખો ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાતો હોય છે.
માત્ર દુકાનો જ નહીં પરંતુ આ દિવસે ગામમાં વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે સ્થગિત રહે છે. ગામજનોની માન્યતા અને વર્ષોજૂની પરંપરા મુજબ આ દિવસે ગામમાં સાયકલ સુધી પણ કોઈ ચલાવતું નથી. કોઈપણ પ્રકારનું વાહન ગામની અંદર ચલાવવામાં આવતું નથી. પરિણામે સમગ્ર વરાણા ગામ અને બજાર વિસ્તારમાં એક અનોખી શાંતિ, શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાતું હોય છે. ગામભરમાં ધાર્મિક ભાવના છવાઈ જતાં ખોડિયાર માતાજીના જયઘોષ સાથે ભક્તિમય માહોલ જામે છે.
વરાણા ખોડિયાર ધામ સમગ્ર ગુજરાતભરમાં અવિચળ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. અહીં માત્ર આસપાસના વિસ્તારોમાંથી જ નહીં પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. ચૈત્ર વદ આઠમના દિવસે ખાસ કરીને દર્શનાર્થીઓની આવકમાં વધારો જોવા મળે છે અને ખોડિયાર ધામ ખાતે ભક્તોની ભારે અવરજવર રહેતી હોય છે.
આ પરંપરાની સૌથી વિશેષ અને પ્રેરણાદાયક બાબત એ છે કે ગામના તમામ વર્ણ, તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના લોકો આ પવિત્ર દિવસને સમાન આસ્થા અને શ્રદ્ધા સાથે પાળે છે. વરાણા ગામમાં આ દિવસ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત નથી, પરંતુ ગામની સામૂહિક એકતા, સામાજિક સમરસતા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિક બની ગયો છે. ભેદભાવથી પર રહેલી આ પરંપરા ગામની ઓળખ અને ગૌરવ બંનેને વધુ મજબૂત બનાવે છે.
ગામજનો દ્વારા જાળવાતી પરંપરા મુજબ બહારથી આવતા દર્શનાર્થીઓને માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે અને તેઓ નિરાંતે દર્શન કરી શકે છે. જોકે આ દિવસે ગામ સંપૂર્ણ બંધ હોવાને કારણે ગામની અંદર કોઈપણ પ્રકારની પ્રસાદી, નાસ્તો કે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેતી નથી. જેના કારણે બહારથી આવતા ભક્તોએ પ્રસાદી અથવા જરૂરી વસ્તુઓ સાથે લઈને આવવાની ખાસ જરૂરિયાત રહે છે.
આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ કે રૂઢિ નથી, પરંતુ ગામની એકતા, સામૂહિક શ્રદ્ધા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. આજના આધુનિક સમયમાં પણ વરાણા ગામના લોકો સદીઓથી ચાલતી આવી અનોખી પરંપરાને શ્રદ્ધાપૂર્વક જાળવી રાખે છે, જે નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
વરાણા ખોડિયાર ધામ ખાતે ચૈત્ર વદ આઠમ નિમિત્તે ગામભરમાં જોવા મળતો આ પૂર્ણ બંધ, ભક્તિભાવ અને પરંપરાપ્રેમ માત્ર ધાર્મિક લાગણી જ નહીં પરંતુ ગામની ઓળખ, ગૌરવ અને ઐતિહાસિક વારસાનું પણ પ્રતિક માનવામાં આવે છે. આસ્થા અને પરંપરાનું આ અનોખું દૃશ્ય દર વર્ષે હજારો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
