પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

પાટણમાં ગુરૂ શ્રી ભીખનશાહ પીરદાદાની તિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, ૧૦૮ દીવાની મહાઆરતી અને કવ્વાલી કાર્યક્રમ યોજાયો
સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળના આયોજન હેઠળ ભાવિક ભક્તોમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ, મોટી સંખ્યામાં લોકો જોડાયા
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ ખાતે નાનીસરા વિસ્તારમાં સ્થિત ગુરૂ શ્રી ભીખનશાહ પીરદાદા મંદિર પ્રાગણમાં ગુરૂશ્રીની તિથિ નિમિત્તે સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ આયોજિત તથા ગુરૂ પીરદાદા ભક્તોના સ્વૈચ્છિક ફાળાના સહયોગથી ભવ્ય શોભાયાત્રા, ૧૦૮ દીવાની મહાઆરતી, મહાપ્રસાદી તેમજ ભવ્ય કવ્વાલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં નાનીસરા પરિવાર સહિત પાટણ શહેર અને આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી ધાર્મિક આનંદ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
દર વર્ષે વૈશાખ માસના ચાર શુક્રવાર દરમિયાન ગુરૂજીની પૂજા-અર્ચના, પ્રસાદ અને નૈવેધનું આયોજન કરવામાં આવે છે. પરંપરા મુજબ નાનીસરા પરિવારના સભ્યો કંદોરિયા દીઠ મળિદાનો પ્રસાદ (રોટલી, ઘી, ગોળ અને ચુરમું) અર્પણ કરે છે તેમજ પ્રથમ અથવા ચોથા શુક્રવારે ગુરૂ મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે આ ધાર્મિક પરંપરાનું નિર્વાહ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળનાં પ્રગ્નેશ વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારાં વડીલો કહ્યાં ઈતિહાસ મુજબ લગભગ ૫૦૦ વર્ષ પૂર્વે ગુરૂ ભીખનશાહ પીરદાદા અને ગુરૂ ખેંગારસ્વામી બાપુએ નાનીસરા પરિવારના પૂર્વજો અને વડીલોને આશીર્વાદ આપતાં વચન આપ્યું હતું કે તેમના વંશમાં “શેર માટી બાળકની ખોટ” પૂર્ણ થશે. સાથે જ દારૂનો ત્યાગ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો, જેને આજે પણ કંથરાવીયા નાનીસરા પરિવાર ટેક અને વચનરૂપે જાળવી રાખી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજ સુધી ગુરૂ મહારાજની કૃપાથી પરિવાર પર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને સમગ્ર પરિવારને રક્ષા તથા આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં નાના બાળકોથી લઈ વડીલો સુધીના ભાવિક ભક્તોએ જોડાઈ ગુરૂ મહારાજના જયઘોષ સાથે નૃત્ય, ગરબા અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ શિરા મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.
રાત્રિના કાર્યક્રમમાં ગુજરાતના મશહૂર કવ્વાલ સલીમવારસી ટીમ દ્વારા ગુરૂ ભીખનશાહ પીરદાદાની યાદમાં સુરીલા કંઠે ભવ્ય કવ્વાલી રજૂ કરવામાં આવી હતી. દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તોએ કવ્વાલી કાર્યક્રમ માણી ગુરૂ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
શોભાયાત્રા રૂટ દરમિયાન વિવિધ સેવાકીય આયોજન પણ કરવામાં આવ્યા હતા. વડીલ મૂળચંદભાઈ ખેમચંદભાઈ પરમાર દ્વારા ત્રણ દરવાજા સ્થિત ગુરૂકૃપા ટી સ્ટોલ ખાતે ચા-પાણી સેવા રાખવામાં આવી હતી. મનોજસિંહ કેશવલાલ પરમાર (મુન્નાભાઈ) દ્વારા ઠંડા પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનીસરા નાકે સ્વ. ભીખાભાઈ મીઠાભાઈ પરમાર પરિવાર દ્વારા સ્વ. કિરણકુમાર જગદીશભાઈ પરમારના સ્મરણાર્થે આઈસ્ક્રીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ નાના બાળકો થી લઈને વડીલો સુધી સૌએ લીધો હતો.
રાત્રિના કવ્વાલી કાર્યક્રમ દરમિયાન સ્વ. મગનભાઈ પાનાભાઈ પરમાર પરિવારના સુપુત્ર પંકજભાઈ દ્વારા નાસ્તા સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રમણભાઈ જેઠાભાઈ પરમાર પરિવારના સુપુત્ર મનીષભાઈ તથા જશવંત દ્વારા ચા સેવા રાખવામાં આવી હતી. ભાવિક ભક્તોએ આ સેવાઓનો લાભ લઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ભવ્ય શોભાયાત્રામાં સુપ્રસિદ્ધ લખન મ્યુઝિક બેન્ડ દ્વારા ગુરૂ મહારાજના ભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. ભક્તિભાવથી ઓતપ્રોત બનેલા ભાવિકોએ ખુશી વ્યક્ત કરતાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો અર્પણ કરી ગુરૂ મહારાજ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં પાટણ શહેરના સામાજિક તથા રાજકીય આગેવાનો પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ એમ સોલંકી સુભાષચોક, વડાવલી મહેશભાઈ સુતરીયા, રંજનભાઈ સોલંકી મોટીસરા, વર્તમાન વિજેતા કોર્પોરેટર સાધનાબેન પરમાર, ચેતનભાઈ સાલવી મોટીસરાય, ભાજપ મોરચા મહામંત્રી મહેશભાઈ જાદવ, નારણભાઈ મકવાણા, હર્ષદભાઈ પાટણકર દુઃખવાડા, હસમુખભાઈ સોલંકી, કિરીટભાઈ પરમાર અને નંદુભાઈ સુભાષચોક વગેરે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ગુરૂ ભીખનશાહ પીરદાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સુવ્યવસ્થિત આયોજન સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા કરાયું હતું જે બદલ આવેલ ભાવિક ભક્તોએ યુવામિત્રોની એકતા સાથેની ભક્તિમય કામગીરીને બિરદાવી હતી
સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા ગુરૂ ભીખનશાહ પીરદાદાના કાર્યક્રમમાં સહયોગ આપનાર નામી અનામી સૌ પીરદાદા ભક્તોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુરૂ મહારાજ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે જય બોલાવી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ
