ડભોઈ પંથકમાં કાળઝાળ ગરમી: અબોલ પશુઓ માટે આમલીના જૂના ઘટાદાર વૃક્ષો’ બન્યા કુદરતી એરકન્ડીશનર

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ડભોઈ તાલુકામાં તાપમાન 44°C ને વટાવી રહ્યું છે ત્યારે અસહ્ય લૂ અને બફારાથી બચવા માટે માનવીઓ તો એસી, પંખા કે પાકા મકાનોના છતનો સહારો લઈ રહ્યા છે. પરંતુ, આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની હાલત કફોડી બની છે. આવી પરિસ્થિતિમાં ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આમલીના પ્રાચીન અને ઘટાદાર વૃક્ષો આ પશુધન માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
ગામના પાદરે પશુઓનો મેળાવડો
ડભોઈ તાલુકાના અનેક ગામોમાં તળાવની પાળે અથવા ગામની ભાગોળે વર્ષો જૂના આમલીના વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોનો ઘેરાવો એટલો મોટો હોય છે કે તેની નીચે સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી. બપોરના સમયે જ્યારે સુર્યનારાયણ કોપાયમાન થાય છે, ત્યારે ગામનું તમામ પશુધન- ગાયો, ભેંસો અને બળદો- આ આમલીના ઝાડ નીચે એકઠા થયેલા જોવા મળે છે.શા માટે આમલીના વૃક્ષ’ જ પસંદગી પામ્યા ઘટાદાર છાંયો અન્ય વૃક્ષોની સરખામણીએ આમલીના પાન ઝીણા અને ગીચ હોવાથી તે ઉનાળામાં ઉત્તમ ઠંડક આપે છે કુદરતી ઠંડક ગ્રામજનોના મતે, આમલીના ઝાડ નીચેનું તાપમાન બહારના તાપમાન કરતા 5 થી 7 ડિગ્રી જેટલું ઓછું અનુભવાય છે.

સામૂહિક આશરો એકસાથે 20 થી 50 પશુઓ આરામથી એક જ વૃક્ષ નીચે બેસી શકે તેટલી જગ્યા અને છાંયો અહીં મળી રહે છે માનવી તો પોતાની સગવડ કરી લે છે પણ લાખોની કિંમતના આ મોંઘેરા પશુઓ માટે તો આ કુદરતી વરદાન સમાન વૃક્ષો જ એકમાત્ર સહારો છે પર્યાવરણનું મહત્વ સમજાવતો કિસ્સો ડભોઈના આસપાસના ગામોમાં જોવા મળતા આ દ્રશ્યો પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપે છે. જો ગામની ભાગોળે આ વૃક્ષો ન હોત, તો પશુઓને લૂ લાગવાની અને બીમાર પડવાની શક્યતાઓ વધી જાત. હાલમાં આ ઘટાદાર વટવૃક્ષો અને આમલીના ઝાડો પશુધન માટે કુદરતી છત’ બનીને તેમને ગરમી સામે રક્ષણ આપી રહ્યા છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
