રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો

ભારતીય ઋષિમુનિઓનું જીવન દર્શન અમુલ્ય છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
દીક્ષાંત સમારોહમાં ૯ વિવિધ ફેકલ્ટીના કુલ ૫૪,૩૪૬ વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત
યુનિવર્સિટીના ૧૫૧ તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા
સત્ય, સંસ્કાર અને જવાબદારી જીવનના મૂળ મંત્ર
ભાગ્ય કર્મનું ફળ છે, મહેનતથી જ સફળતા મળે
યુવાનોના યોગદાનથી જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે:
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

કેપિટલ મેસેજ, ન્યુઝ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પદવીદાન (દીક્ષાંત) સમારોહ- ૨૦૨૬ ભવ્ય રીતે યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલના અનુમોદન બાદ વિધિવત કાર્યક્રમ શરૂ થયો હતો.
આ દીક્ષાંત સમારોહમાં ૯ વિવિધ ફેકલ્ટીના કુલ ૫૪,૩૪૬ વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવી હતી. ઉપરાંત યુનિવર્સિટીના ૧૫૧ તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં પાટણની ઐતિહાસિક વિધાનગરીની ઓળખ અંગે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે હેમચંદ્રાચાર્યજીને ભારતીય જીવન મૂલ્યોના દ્રષ્ટા તરીકે યાદ કર્યા હતા.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે પાટણ શિક્ષણ, કૌશલ્ય, શિલ્પ અને કળા માટે દેશભરમાં આગવું સ્થાન ધરાવે છે. સરસ્વતી નદીના પવિત્ર તટ પર ક્યારેક હજારો ઋષિ-મુનિઓ તપસ્યામાં લીન રહી વેદ-શાસ્ત્ર અને આધ્યાત્મિકતાનું જ્ઞાન પ્રસરાવતા હતા. આજે એ જ ગૌરવની પરંપરાને આગળ ધપાવતું આ વિદ્યાકેન્દ્ર ગૌરવની ક્ષણનું પ્રતિક છે.

વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે તેઓ દેશના ભવિષ્ય છે અને આવનાર ભારતના નિર્માતા છે. આજના સમયમાં ટેક્નોલોજી અને વિજ્ઞાન ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓએ તેમાં રસ અને જિજ્ઞાસા દાખવવી જરૂરી છે. ઈસરોના વિજ્ઞાનીઓ યોગીની જેમ એકાગ્રતા અને સમર્પણથી કાર્ય કરે છે, જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. તેમણે વિદ્યાર્થીઓને ઈસરોની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય ઋષિ-મુનિઓનું જીવનદર્શન આજના સમયમાં પણ અત્યંત પ્રાસંગિક છે. ભૌતિક સુખની દોડમાં માનવતા ભૂલવી નહીં જોઈએ. વિદ્યા દ્વારા વિશ્વ કલ્યાણ અને આત્મ કલ્યાણ બંને હાંસલ કરવા તેમજ માનવતાને સર્વોપરી સ્થાન આપવા તેમણે સૂચન કર્યું હતું.
રાજ્યપાલએ વિદ્યાર્થીઓને માતા-પિતા અને ગુરુજનોને દેવતાસમાન માનવા, સત્યનું આચરણ કરવા, સતત જ્ઞાન વધારવા અને તેને દેશ-વિદેશમાં પ્રસારિત કરવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભાગ્ય એ કર્મનું ફળ છે અને મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારવા વિદ્યાર્થીઓએ પ્રયત્ન કરવો જોઈએ.

પ્રધાનમંત્રી દેશહિત માટે સતત કાર્યરત રહી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા સંકલ્પબદ્ધ છે, ત્યારે વિદ્યાર્થીઓએ પણ રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આગળ આવવું જોઈએ તેમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કુલપતિ કે.સી. પોરિયાએ સ્વાગત પ્રવચનમાં દીક્ષાંત સમારોહને ગૌરવસભર ક્ષણ ગણાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ડિગ્રી સાથે જવાબદારી પણ વધે છે. રજીસ્ટ્રાર આર.એન. દેસાઇએ આભાર વિધિ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ઇસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈ, જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી સહિત વિવિધ કોલેજોના ડીનઓ, અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
