રાધનપુરમાં વરસાદ બાદ નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ

ગંદકી, તૂટેલા રસ્તા અને પાણી ભરાવાના પ્રશ્ને નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર; ચીફ ઓફિસર ગેરહાજર હોવાનો આક્ષેપ, વોર્ડ નં. 7ના 450 પરિવારો મુશ્કેલીમાં
કેપિટલ મેસેજ
Capital message
પાટણ/રાધનપુર : રાધનપુર શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવો, ગંદકી અને તૂટી ગયેલા રસ્તાઓના કારણે સ્થાનિક નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ ઊભી થયેલી સમસ્યાઓ સામે નગરપાલિકા દ્વારા યોગ્ય અને સમયસર કામગીરી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના આગેવાનોએ રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. ગંદકીના ઢગલા, તૂટી ગયેલા રસ્તાઓ અને ખાડાઓના કારણે રોજિંદા જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. વેપારીઓ, રિક્ષાચાલકો, વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને રોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસે નગરપાલિકા સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક આયોજન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર નિયમિતપણે કચેરીમાં હાજર રહેતા ન હોવાથી લોકોના પ્રશ્નોનો સમયસર ઉકેલ આવતો નથી, જેના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
શહેરના ચાર રસ્તાથી પટણી ગેટ સુધીનો મુખ્ય માર્ગ હાલ મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયો છે. વરસાદી પાણી ભરાઈ રહેતાં ખાડાઓ દેખાતા નથી અને સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ ત્રણથી ચાર લોકો વાહન સાથે પાણીમાં છુપાયેલા ખાડામાં ખાબકી ઈજાગ્રસ્ત બની રહ્યા છે. અનેક વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે.
વોર્ડ નંબર–7માં આવેલા હરિદર્શન, શાંતિકુંજ, સાઈનાથ અને શિવ રેસિડેન્સી સહિતના વિસ્તારોમાં આશરે 450 જેટલા પરિવારો વરસાદી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. અનેક દિવસોથી પાણી ભરાઈ રહેતાં લોકોને ઘરમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાની ભીતિ ફેલાઈ રહી છે. નાગરિકોએ તાત્કાલિક ફોગિંગ, સફાઈ અભિયાન અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.
કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિસ્તારના ચૂંટાયેલા ચાર કોર્પોરેટરોમાંથી એકેય લોકપ્રતિનિધિ આજદિન સુધી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વચનો આપનાર જનપ્રતિનિધિઓ મુશ્કેલીના સમયમાં લોકો વચ્ચે દેખાતા નથી.
રાધનપુર ખાતે હાલમાં જૈન સમાજના મહારાજનું ચોમાસું ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં શહેરમાં ગંદકી અને પાણી ભરાવાના કારણે જૈન સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે. શહેરમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ સામે પણ રાધનપુરની છબીને નુકસાન પહોંચી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકાને આવેદનપત્ર આપી શહેરમાંથી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા, તમામ મુખ્ય અને આંતરિક રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવા, ગંદકી દૂર કરી નિયમિત સફાઈ શરૂ કરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.
આ પ્રસંગે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. વિષ્ણુદાન ઝુલા અને સ્થાનિક નાગરિક સુરેશભાઈ જોશીએ પણ નગરપાલિકાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
હવે શહેરવાસીઓની નજર નગરપાલિકા તંત્ર પર છે કે કોંગ્રેસના આવેદનપત્ર બાદ તંત્ર કેટલા સમયમાં અસરકારક કાર્યવાહી કરે છે અને વરસાદથી પીડિત લોકોને ક્યારે રાહત મળે છે.
અહેવાલ : અનિલ રામાનુજ, પાટણ
