પાટણમાં જન મંગલ પરિવાર દ્વારા હાસ્ય નાટક ‘પાવરફુલ પાટીદાર’નું સફળ આયોજન

હાસ્ય સાથે પરિવારના સંસ્કાર, યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને સામાજિક પડકારો સામે જાગૃતિનો પ્રભાવશાળી સંદેશ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ : આજના ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં પરિવારના સંસ્કાર, માતા-પિતાના માર્ગદર્શન અને સંતાનો સાથે સતત સંવાદનું મહત્વ ઉજાગર કરવાના હેતુથી જન મંગલ પરિવાર, પાટણ દ્વારા લોકપ્રિય હાસ્ય નાટક *’પાવરફુલ પાટીદાર’* નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મનોરંજનની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને મોટી સંખ્યામાં નાગરિકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.
કેન્સ ફિલ્મ્સ થિયેટર ગ્રુપ દ્વારા રજૂ થયેલા આ નાટકે દર્શકોને હાસ્યની મોજ કરાવવાની સાથે પરિવારના મૂલ્યો, માતા-પિતાની જવાબદારી, યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને સમાજમાં ઊભા થતા વિવિધ પડકારો અંગે વિચાર કરવા પ્રેર્યા હતા. નાટકમાં ભાવનાત્મક પ્રસંગો દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે સંતાનો સાથેનો વિશ્વાસપૂર્ણ સંવાદ અને સારા સંસ્કારો જ તેમને ભ્રામક પ્રલોભનો તથા ખોટા માર્ગથી દૂર રાખી શકે છે.
નાટકમાં સુનિલ વાઘેલા, દીપીકા રાવલ, કૃણાલ ભટ્ટ, કામિની પંચાલ, કાર્તિક રાષ્ટ્રપાલ અને નીતિશ પારેખે જીવંત અભિનય દ્વારા પાત્રોને અસરકારક રીતે રજૂ કર્યા હતા. કલાકારોના અભિનયને ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

આ કાર્યક્રમ તા. 4 જુલાઈ, 2026ના રોજ પાટણ સ્થિત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય પ્રસંગે મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઈ એમ. ઠક્કર, એડિશનલ કલેક્ટર મેહુલભાઈ બરાસરા, ઇન્ડિયન રેડક્રોસ રાધનપુરના પ્રમુખ ડૉ. નવીનભાઈ એન. ઠક્કર, મહેશભાઈ એન. પુજારા, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરીયા, ઉત્તર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના ઉપપ્રમુખ ફરસુરામભાઈ ગોકલાણી તથા ટીડીઓ અશોકભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ મહેમાનો તરીકે આર.એસ.એસ. મહેસાણા વિભાગના સંઘચાલક નવીનભાઈ પ્રજાપતિ, અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના પ્રમુખ ડૉ. મહેશલાલ મુલાણી તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુરના પ્રિન્સિપાલ ડૉ. સી.એમ. ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દેશી લોહાણા મહાજન, કચ્છ વાગડ લોહાણા મહાજન સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે હસમુખભાઈ ઠક્કર (નાયકાવાળા), રાજુભાઈ મીરાણી, રમેશભાઈ ગોકલાણી, નિરુભાઈ ઠક્કર, રાજુભાઈ અખાણી, હિતેશભાઈ વકીલ, યોગેશ ઠક્કર સહિત જન મંગલ પરિવારના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. દાતાશ્રીઓના ઉદાર આર્થિક સહયોગથી કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ મળ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સમાજમાં વધી રહેલા વિવિધ સામાજિક પડકારોનો સામનો કરવા માટે માત્ર કાયદો જ નહીં પરંતુ પરિવારના મજબૂત સંસ્કાર, માતા-પિતાનું યોગ્ય માર્ગદર્શન અને સતત જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજને મનોરંજનની સાથે મૂલ્યવાન સંદેશ અને સકારાત્મક વિચારસરણી પણ પ્રદાન કરે છે, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ અને યાદગાર બની રહ્યો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, (પાટણ)
