હારીજ સરકારી રેસ્ટ હાઉસના બાંધકામમાં માટી મામલે વિવાદ

હારીજમાં સરકારી રેસ્ટ હાઉસના બાંધકામમાં વપરાતી માટી મામલે વિવાદ, ખાણ-ખનીજ વિભાગે શરૂ કરી તપાસ
સરવલ ગામના તળાવમાંથી મંજૂરી વિના માટી ઉપાડાઈ હોવાની ફરિયાદ; પુરાવા રજૂ નહીં થાય તો કાર્યવાહીનો સંકેત
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
હારીજ-રાધનપુર હાઈવે પર આઈટીઆઈ કોલેજ સામે નિર્માણાધીન સરકારી રેસ્ટ હાઉસના બાંધકામમાં વપરાતી માટી અંગે વિવાદ ઊભો થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સરવાલ ગામના તળાવમાંથી ગ્રામ પંચાયતની મંજૂરી વિના માટીનું ખનન કરીને સરકારી બાંધકામમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ખાણ અને ખનીજ વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા વિભાગે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર એક અરજદાર દ્વારા ખાણ અને ખનીજ વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરીને સરવલ ગામના તળાવમાંથી નિયમોનું ઉલ્લંઘન કરી મોટા પાયે માટી ઉપાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રજૂઆતમાં જણાવાયું હતું કે ઉપાડવામાં આવતી માટી હારીજ ખાતે નિર્માણાધીન સરકારી રેસ્ટ હાઉસના પુરાણ અને બાંધકામ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. ફરિયાદને ગંભીરતાથી લઈ ખાણ અને ખનીજ વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
ફરિયાદના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સરકારી રેસ્ટ હાઉસના બાંધકામ સ્થળ તેમજ માટી ઉપાડવાના સ્થળની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માટીના સ્ત્રોત, પરિવહન અને જરૂરી મંજૂરીઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સરવાલ ગામના તલાટી-કમ-મંત્રી અર્પિત દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રવણજી ઠાકોર તથા ગામના આગેવાનો પણ સ્થળ પર હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયત તરફથી માટી ઉપાડવા માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી આપવામાં આવી નથી તેવી સ્પષ્ટતા તલાટી-કમ-મંત્રી દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલી ફરિયાદના આધારે નિયમ મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે. માટી લાવનાર અને સંબંધિત પક્ષો પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા તથા મંજૂરીઓ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. જો જરૂરી પુરાવા અને મંજૂરીઓ રજૂ કરવામાં નહીં આવે તો ખાણ અને ખનીજ નિયમો મુજબ દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સ્થાનિક સ્તરે પણ આ મામલે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. સરકારી બાંધકામમાં વપરાતી સામગ્રીના સ્ત્રોત અને તેની કાયદેસરતા અંગે પારદર્શક તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે. બીજી તરફ ખાણ અને ખનીજ વિભાગે સમગ્ર ઘટનાક્રમની તમામ વિગતો એકત્રિત કરી વધુ તપાસ ચાલુ રાખી હોવાનું જણાવ્યું છે.
હવે તપાસ પૂર્ણ થયા બાદ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને માટી ઉપાડવા માટે જરૂરી મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં તે અંગેનો ખુલાસો આગામી દિવસોમાં થવાની શક્યતા છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
