પાટણ: ચાણસ્માના દેલમાલ ગામે ઝેરોક્ષની દુકાનમાંથી નકલી ચલણી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું- દિલ્હી કનેકશનનો ખુલાસો

500 રૂપિયાની 492 બનાવટી નોટો, પ્રિન્ટિંગ સાધનો સહિત મુદ્દામાલ જપ્ત; બે ઝડપાયા, ત્રણ ફરાર
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં ઝેરોક્ષની દુકાનની આડમાં ચલાવવામાં આવતું નકલી ચલણી નોટો બનાવવાનું મોટું કૌભાંડ એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. ભારતીય ચલણ જેવી દેખાતી 500 રૂપિયાની બનાવટી નોટો છાપી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરતા પોલીસે કુલ 492 નકલી નોટો, પ્રિન્ટિંગ માટે વપરાતા સાધનો અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ચાણસ્મા પોલીસ તથા એફએસએલ અધિકારીઓની હાજરીમાં દેલમાલ ગામે આવેલી ‘શિવાય ઇન્ફોટેક’ નામની ઝેરોક્ષની દુકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાં કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી 500 રૂપિયાની બનાવટી ચલણી નોટો તૈયાર કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાની કુલ 492 બનાવટી નોટો, કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર, શાહી, A-4 સાઇઝના કાગળ, પ્રિન્ટ કરેલા શીટ, કાતર, મોબાઇલ ફોન તેમજ એક મોટરસાયકલ સહિત અંદાજે રૂ. 1.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં પોલીસે દેલમાલ ગામના નિકુલજી હમીરજી ઠાકોર તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન ધીરજ ચૌહાણ (મૂળ બનાસકાંઠા, હાલ દિલ્હી), કૈલાશ (મૂળ રાજસ્થાન, હાલ દિલ્હી) અને પપ્પુ ઠાકોર (રહે. મંડલોપ, તા. ચાણસ્મા) નામના ત્રણ આરોપીઓની સંડોવણી પણ બહાર આવી છે. હાલ ત્રણેય આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ માટે વિવિધ પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ દિલ્હીની એક આંગણિયા પેઢીમાં કામ કરતા હતા. ત્યાં કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા બાદ નકલી ચલણી નોટોની માંગ ઊભી થતાં દેલમાલ ગામમાં આ ગેરકાયદેસર પ્રિન્ટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તૈયાર કરાયેલી નોટો દિલ્હીની એક આંગણિયા પેઢી સુધી પહોંચાડવાની યોજના હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
પાટણ પોલીસ હવે આ રેકેટ કેટલા સમયથી કાર્યરત હતું, અત્યાર સુધી કેટલી નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી હતી અને તેમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા આવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
