જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

ડભોઇ જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, ૧૫૦ વર્ષની પરંપરા જાળવી રાખતા નગરજનો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ: ઐતિહાસિક નગરી ડભોઇમાં આજે જગદગુરુ શ્રી રામાનુજાચાર્યના ૧૦૦૯મા જન્મોત્સવની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે શહેરમાં એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ડભોઇ પંથક ભક્તિના રંગે રંગાયું હતુ
શોભાયાત્રાનો રૂટ અને આકર્ષણો
આ પવિત્ર શોભાયાત્રાનો પ્રારંભ વડોદરી ભાગોળ સ્થિત સવાઈ બાલાજી મંદિરથી કરવામાં આવ્યો હતો. ભક્તિમય માહોલમાં નીકળેલી આ યાત્રા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાં ફરી હતી વડોદરી ભાગોળથી શરૂ થઈને આ યાત્રા ટાવર, લાલ બજાર, કંસારા બજાર અને રામજી મંદિર જેવા વિસ્તારોમાં ભ્રમણ કરી હીરાભાગોળ ખાતે આવેલા મોટા બાલાજી મંદિરે ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી સાંસ્કૃતિક વૈભવ: યાત્રામાં ઢોલ-નગારાના ગુંજારવ, મધુર ભજન-કીર્તન અને ધાર્મિક ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું. ભક્તોના ‘જય શ્રી રામ’ અને રામાનુજાચાર્યના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

૧૫૦ વર્ષ જૂની અતૂટ પરંપરા ડભોઇમાં રામાનુજાચાર્યની જન્મજયંતી નિમિત્તે નીકળતી આ શોભાયાત્રાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. છેલ્લા ૧૫૦ વર્ષથી આ પરંપરા અવિરતપણે નિભાવવામાં આવે છે. સ્થાનિક લોકો માટે આ માત્ર એક યાત્રા નથી, પરંતુ તેમની ગાઢ શ્રદ્ધા અને ગૌરવનું પ્રતીક છે.
વર્ષો જૂની આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાયેલી છે. અબાલ-વૃદ્ધ સૌ કોઈ આ ધાર્મિક મહોત્સવમાં જોડાઈને ધન્યતા અનુભવે છે શોભાયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ અને નગરજનો આ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર ડભોઇ શહેર આધ્યાત્મિકતાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું અને રસ્તાઓ પર ભક્તિનો અનોખો માહોલ છવાયો હતો.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી
