રાધનપુર કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમ યોજાયો
નવી શૈક્ષણિક સફરની શરૂઆત સાથે વિદ્યાર્થીઓને કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ અને તકો અંગે કરાયા માહિતગાર
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર: હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુર ખાતે શનિવારે બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-૧માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ડૉ. ચિરાગ વી. રાવલ દ્વારા શ્લોકગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ નવા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરનો પરિચય આપવામાં આવ્યો હતો. આચાર્ય ડૉ. ઠક્કરે વિદ્યાર્થીઓને સંબોધતા કોલેજના નીતિ-નિયમો, શૈક્ષણિક માળખું, સમયપત્રક, અભ્યાસક્રમ, શિસ્ત તેમજ શિક્ષણ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે વ્યક્તિત્વ વિકાસ, સમયનું મહત્વ અને કારકિર્દી ઘડતર માટે ઉપલબ્ધ તકોનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કોલેજના વિવિધ વિભાગોના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને સાહિત્યિક પ્રવૃત્તિઓ, વ્યાખ્યાનમાળા, વિમેન સેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્ટડી સેન્ટર, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, ઉદિશા ક્લબ, સંધાન કાર્યક્રમ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સપ્તધારા, NAAC અને IQACની કામગીરી, કોલેજનું વાર્ષિક અંક, સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર, ઈનોવેશન ક્લબ, એન્ટી રેગિંગ સેલ, નવી શિક્ષણ નીતિ–૨૦૨૦, ફિનિશિંગ સ્કૂલ, એનસીસી, એનએસએસ, રમતગમત, કારકિર્દી માર્ગદર્શન, ટેલી એકાઉન્ટિંગ, બેઝિક કોમ્પ્યુટર કોર્સ, સ્કોપ યોજના તેમજ વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત જીવનમૂલ્યો, મહિલા સશક્તિકરણ, વ્યક્તિત્વ વિકાસ અને સમાજ પ્રત્યેની જવાબદારી જેવા વિષયો પર પણ વિદ્યાર્થીઓને દ્રષ્ટાંતો સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી તેઓ અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ તરફ આગળ વધી શકે.
કાર્યક્રમનું સફળ આયોજન કોમર્સ વિભાગના અધ્યાપક ડૉ. ચિરાગ વી. રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ પણ તેમણે જ કરી હતી.
આ અભિમુખતા કાર્યક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને તમામ અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓને કોલેજના શૈક્ષણિક વાતાવરણ, વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધ તકો અંગે માહિતગાર કરી તેમની નવી શૈક્ષણિક સફરને આત્મવિશ્વાસપૂર્ણ બનાવવાનો રહ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
