રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી

વોલ્ટેજ વધઘટથી વીજ ઉપકરણોને નુકસાન, UGVCL સમક્ષ શહેર કોંગ્રેસની લેખિત રજૂઆત
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર શહેરના પાંજરાપોળ થી મીરા દરવાજા સુધીના વિસ્તારમાં આવેલી વીજ લાઇન લાંબા સમયથી અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાનું જણાવી રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિએ પોતાના લેટરપેડ પર વિભાગીય અધિકારી, UGVCL રાધનપુરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે વિસ્તારમાં વીજ વાયરો સડી ગયેલી સ્થિતિમાં છે, જ્યારે અનેક વીજ થાંભલાઓ પણ નબળી હાલતમાં હોવાથી અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે. ચોમાસા દરમિયાન પવન અને વરસાદના કારણે ક્યારે પણ વાયર તૂટી પડવાની અથવા થાંભલા ધરાશાયી થવાની શક્યતા રહેલી હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ઉનાળામાં વીજ લોડ વધતા વિસ્તારમાં વારંવાર વોલ્ટેજની વધઘટ થાય છે. તેના કારણે ફ્રિજ, એર કન્ડિશનર (AC), પાણીની મોટર સહિતના વીજ ઉપકરણો બળી જવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે નાગરિકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
શહેર કોંગ્રેસ સમિતિએ લેખિત રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે વીજ લાઇનની બેદરકારીના કારણે અગાઉ એક પશુનું મોત પણ થયું હતું. તેમ છતાં આજદિન સુધી કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેર કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે UGVCLના અધિકારીઓ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જર્જરિત વાયર અને જોખમી થાંભલાઓ બદલે, જરૂરી મરામત હાથ ધરે તેમજ નિયમિત અને સુરક્ષિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરે.
જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી તેમજ જનઆંદોલન સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે તેમ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.
આ લેખિત રજૂઆત રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ રફીકભાઈ ઈબ્રાહિમભાઈ ઘાંચી દ્વારા તેમના લેટરપેડ પર વિભાગીય અધિકારી, UGVCL રાધનપુરને પાઠવવામાં આવી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
