પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ:
શ્રીમદ્ ભાગવત સપ્તાહે ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ:ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈભવ ધરાવતી પાટણની પવિત્ર ધરા પર પુરુષોત્તમ માસના પાવન અવસરે પિતૃઓના મોક્ષ તથા આત્મકલ્યાણના શુભ હેતુથી ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ‘મોક્ષગાથા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સાઈબાબા મંદિર સામે આવેલા માં બંગલોઝ ખાતે યોજાયેલા આ આધ્યાત્મિક મહોત્સવે સાત દિવસ સુધી સમગ્ર વિસ્તારને ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારના રંગે રંગી દીધો હતો.
વ્યાસપીઠ પર બિરાજમાન પાટણના સુપ્રસિદ્ધ કથાકાર અને ભાગવત મર્મજ્ઞ પરમ પૂજ્ય હર્ષદભાઈ વ્યાસ (વ્યાસજી)એ પોતાની મધુર, સરળ અને સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અમૃતમય પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું. તેમની વાણીમાં રહેલા આધ્યાત્મિક ઊંડાણ અને જીવનમૂલ્યોના સંદેશે શ્રોતાઓને ભક્તિભાવથી ઓતપ્રોત કરી દીધા હતા.
આ દિવ્ય કથાના મુખ્ય પોથી યજમાન તરીકે પાટણના જાણીતા પટેલ ડાહ્યાભાઈ મંછારામ (રાજપુરવાળા) પરિવારે સેવાભાવપૂર્વક યજમાનપદ નિભાવ્યું હતું. સુનિલભાઈ, પરેશભાઈ અને રાજેશભાઈ પટેલે પોથીજીનું પૂજન-અર્ચન કરીને પિતૃભક્તિ અને ધર્મનિષ્ઠાનું અનોખું ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું હતું.
તા. ૯ જૂનથી ૧૫ જૂન ૨૦૨૬ દરમિયાન દરરોજ રાત્રે યોજાયેલી કથામાં શ્રીરામ જન્મોત્સવ, વામન અવતાર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ, શ્રી રુક્મિણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગોની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તજનોમાં દરેક ઉત્સવ પ્રત્યે વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
મહોત્સવના શુભ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ ભુવાજી કાંતિભાઈ કરશનભાઈ પટેલ, ભુવાજી વિનુભાઈ જોઈતારામ પટેલ તથા ભુવાજી દિનેશભાઈ નાનાલાલ પટેલના વરદહસ્તે સંપન્ન થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે નિરવ વ્યાસ, મહેન્દ્રભાઈ પટેલ, નિરંજન વ્યાસ સહિતના સેવાભાવી કાર્યકર્તાઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
કથા દરમિયાન શહેરના કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, પત્રકાર રાજુભાઈ ઠક્કર, યશપાલભાઈ સ્વામી, ડોક્ટર શૈલેષ સોમપુરા, સુનિલભાઈ પાગેદાર, પાટણ સીટી પેજના ગૌરવ પંડ્યા,અગ્રણી મહાનુભાવો, સામાજિક આગેવાનો, અધિકારીઓ, ડોક્ટરો અને પત્રકારો સહિત અનેક શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પોથીજીના દર્શન કરીને ધર્મલાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સોશિયલ મીડિયા માધ્યમથી જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે દૂર-દૂરના ભાવિકો પણ આ કથાનો લાભ લઈ શક્યા હતા.
વિશેષ નોંધનીય બાબત એ રહી કે માં બંગલોઝના તમામ પરિવારો એક પરિવારની ભાવનાથી જોડાઈ ગયા હતા. સમાજમાં એકતા, સહકાર અને ધાર્મિક સંસ્કારોનું અનોખું દૃશ્ય સર્જાયું હતું. ભક્તિ, સેવા, સંસ્કાર અને પિતૃસ્મરણના આ મહોત્સવે પુરુષોત્તમ માસની મહિમાને વધુ ઉજાગર કરી સમગ્ર પાટણમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો.
