દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી મહોત્સવ અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital Message
દર્ભાવતી-ડભોઇ ખાતે પૂજ્ય શ્રી ડો. વાગીશ કુમારજી મહારાજશ્રીના પાવન સાંનિધ્યમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી મહોત્સવ, કુંનવારો અને નંદ મહોત્સવની ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉત્સાહભેર હાજરી આપી ધાર્મિક આનંદનો લાભ લીધો હતો. ડભોઇના વૈષ્ણવો દ્વારા ૧૦૮ શ્રી ડો. વાગીશ કુમારજી મહારાજશ્રીનું આન-બાન-શાન સાથે રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને જયઘોષથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. દ્વારકાધીશ મંદિર ખાતે શ્રીજીને પલ્લામાં ઝુલાવી અનોખો નંદ મહોત્સવ ઉજવાયો હતો. સાથે રાજભોગ દરમિયાન કુંનવારાના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો. ત્યારબાદ મોટા મંદિરેથી ઝારોલા વાઘા સાથે ૧૦૮ શ્રી યમુનાજી લોટીજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જેમાં આશરે ૧૬૦ લોટીજી સાથે વૈષ્ણવો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. વરઘોડો શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ દશાલાડ વાડી ખાતે પહોંચ્યો હતો. દશાલાડ વાડી ખાતે પૂજ્ય શ્રી વાગીશબાવાશ્રીએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા તેમજ ધાર્મિક જીવનમાં સેવા, સંસ્કાર અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ સમગ્ર મહોત્સવે ડભોઇ શહેરમાં ભક્તિ, એકતા અને ધાર્મિક ઉત્સાહનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
