રાધનપુરમાં સ્વદેશી મેળાના ત્રીજા દિવસે પણ સ્ટોલ ખાલી, કર્મચારી ગેરહાજર અને પંખા ચાલુ વીજળીનો વેડફાટ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ: લાખો રૂપિયાનો ખર્ચ છતાં સુવિધાઓનો અભાવ: દેખરેખ વગરનું આયોજન, ન.પાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાના આયોજનમાં ગંભીર ગેરવ્યવસ્થા સામે આવી..
નગરપાલિકાના કર્મચારીઓ હાજર ન હોવા છતાં પંખા ચાલુ હાલતમાં જોવા મળતા બિનજરૂરી રીતે વીજળી વેડફાઈ રહી હોવાના દૃશ્યો સામે આવ્યા..
રાધનપુરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાના આયોજનમાં ગંભીર ગેરવ્યવસ્થા સામે આવી રહી છે. મંત્રીના હાથે ધામધૂમથી ઉદ્ઘાટન કરીને શરૂ કરાયેલો મેળો ત્રીજા જ દિવસે ઠપ્પ થતો જોવા મળી રહ્યો છે. મેળા સ્થળે મોટા ભાગના સ્ટોલ ખાલી જોવા મળતા સમગ્ર આયોજન પર સવાલો ઊભા થયા છે.
મેળામાં સ્વદેશી ઉત્પાદનો અને ખાણી-પીણી માટે અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રીજા દિવસે સ્થળ પર પહોંચતા મોટાભાગના સ્ટોલ બંધ અથવા ખાલી જોવા મળ્યા હતા. આશ્ચર્યજનક રીતે મેળા સ્થળે કોઈ સ્ટોલ ધારકો કે નગરપાલિકાના કર્મચારીઓ હાજર ન હોવા છતાં પંખા ચાલુ હાલતમાં જોવા મળતા બિનજરૂરી રીતે વીજળી વેડફાઈ રહી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.

મેળા સ્થળે બીજા દિવસે સ્વચ્છતાનો પણ ભારે અભાવ જોવા મળ્યો હતો. સ્ટોલની આસપાસ કચરો ફેલાયેલો જોવા મળ્યો હતો, જ્યારે ટોયલેટ અને બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાના કારણે સ્ટોલ ધારકોને મુશ્કેલી પડી રહી હતી. જે બાદ સમાચાર પ્રસિદ્ધ થતાં ટોયલેટ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવું મળ્યું છે .પરંતુ વેપારીઓ અને મુલાકાતીઓ માટે ચા-પાણી કે નાસ્તાની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, જેના કારણે મેળામાં આવનારા લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમગ્ર આયોજન દરમિયાન નગરપાલિકાના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર હાજર ન જોવા મળતા પણ લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. યોગ્ય દેખરેખ અને વ્યવસ્થાના અભાવે મેળામાં વેપારીઓ અને મુલાકાતીઓ બંનેની સંખ્યા ઘટી ગઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

સામાજિક મહિલા કાર્યકર જ્યોતિબેન જોષીએ આ મામલે નગરપાલિકા પર કડક આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય આયોજન, સ્વચ્છતા અને સુવિધાઓના અભાવે આખું આયોજન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શહેરમાં પણ સ્વચ્છતાની સ્થિતિ દયનીય છે અને આવી સ્થિતિમાં મેળા સ્થળે પણ ગંદકી અને અવ્યવસ્થા બીજા દિવસે જોવા મળી હતી ત્યારબાદ ત્રીજા દિવસે મુલાકાત કરતા સ્વદેશી મેળામાં કોઈ હાજર ન હોવા છતાં પંખા ચાલુ હતા.જ્યારે સ્ટોલ ખાલી હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી રીતે લાખો રૂપિયા ખર્ચી કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ જ્યારે શહેરમાં કુદરતી હોનારત જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે નગરપાલિકાની તાત્કાલિક સેવાઓ, ખાસ કરીને ફાયર ફાઈટર જેવી જરૂરી વ્યવસ્થાઓ સમયસર ઉપલબ્ધ ન હોવાના પ્રશ્નો પણ ઉઠતા રહે છે. આવી સ્થિતિમાં જાહેર નાણાંના ઉપયોગ અને આયોજન અંગે જવાબદારી નક્કી થવી જરૂરી છે.

મેળો કુલ છ દિવસ માટે આયોજન કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ બીજા દિવસ બાદ ત્રીજા દિવસે પણ સ્ટોલ ખાલી રહેતા અને લોકોની ભાગીદારી ન જોવા મળતા નગરપાલિકાના આયોજન અને ખર્ચ અંગે હવે શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ માંગ કરી છે કે નગરપાલિકા આ મામલે સ્પષ્ટતા કરે અને આવી ગેરવ્યવસ્થા માટે જવાબદાર લોકો સામે પગલાં લે તેમજ સમગ્ર મામલે હવે રાધનપુરમાં સામાજિક કાર્યકર થી લઇને લોકો માં ચર્ચાઓ જોવા મળી રહી છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
