અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
ગેઝેટ નોટિફિકેશનના બદલે જાતિ પ્રમાણપત્ર, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા સોગંદનામાને માન્ય ગણાવવા રજૂઆત
કેપિટલ મેસેજ
Capital message
પાટણ:ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) સમુદાયના અનેક નાગરિકોના આધારકાર્ડમાં અગાઉથી ચાલતી આવેલી કેટલીક જાતિસૂચક અથવા અપમાનજનક અટકો/ઉપનામોને કારણે નામ અને અટકમાં સુધારો કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે. આવા સુધારા માટે હાલમાં ગેઝેટ નોટિફિકેશનની પ્રક્રિયા જરૂરી બનતી હોવાથી નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મુદ્દે પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ મંગળભાઈ પરમાર દ્વારા ભારત સરકારના Department of Empowerment of Persons with Disabilities, Ministry of Social Justice & Empowermentના નિયામકશ્રી તેમજ ગુજરાત UDID વિભાગને ઈ-મેલ મારફતે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ ગેઝેટ નોટિફિકેશનની પ્રક્રિયા લાંબી, જટિલ અને ખર્ચાળ હોવાના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તથા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે આ પ્રક્રિયા પૂર્ણ કરવી મુશ્કેલ બની રહી છે. પરિણામે કેટલાક નાગરિકો આધારકાર્ડમાં જરૂરી નામ/અટક સુધારો કરાવી શકતા નથી અને સામાજિક સન્માન તથા સરકારી દસ્તાવેજોમાં મુશ્કેલીનો સામનો કરે છે.
ગેઝેટના બદલે વૈકલ્પિક દસ્તાવેજોને માન્યતા આપવા માંગ
નરેશભાઈ પરમારે રજૂઆતમાં માંગ કરી છે કે ગેઝેટ નોટિફિકેશનના સ્થાને સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્ર (Caste Certificate), સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC) અથવા કાર્યપાલક મેજિસ્ટ્રેટ/સમાજ કલ્યાણ અધિકારી દ્વારા પ્રમાણિત સોગંદનામું (Affidavit) આધારકાર્ડમાં નામ/અટક સુધારા માટે માન્ય ગણવામાં આવે.
આ ઉપરાંત આવા સંવેદનશીલ કેસોના ઝડપી નિકાલ માટે UIDAI તથા સામાજિક ન્યાય વિભાગના સંકલનથી વિશેષ શિબિર અથવા સરળ સિંગલ-વિન્ડો વ્યવસ્થા શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
નાગરિકોને સરળ, ઝડપી અને સન્માનજનક સેવા મળે તેવી માંગ
રજૂઆતના અંતે સામાજિક ગરિમા અને સમાનતાના બંધારણીય અધિકારોને ધ્યાનમાં રાખીને હાલની પ્રક્રિયામાં જરૂરી સ્પષ્ટીકરણ તથા સુધારા કરી નાગરિકોને સરળ માર્ગદર્શન અને વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે.
નરેશભાઈ પરમારે જણાવ્યું છે કે, “અનુસૂચિત જાતિના નાગરિકોને આધારકાર્ડમાં નામ કે અટક સુધારવા માટે અનાવશ્યક કાગળપત્રો અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે તથા તેમને સરળ અને વ્યવહારુ વિકલ્પ મળે તે હેતુથી આ રજૂઆત કરવામાં આવી છે.”
નરેશભાઈ મંગળભાઈ પરમાર
પ્રમુખ, પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો
