કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત

ડભોઇ-કાયાવરોહણ રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં વલણ ગામના આધેડનું કરુણ મોત
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ તાલુકાના કાયાવરોહણ અને સુલતાનપુરા ગામની વચ્ચે ગત રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર-વ્હીલર કાર અને એકટીવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એકટીવા ચાલક આધેડનું ગંભીર ઇજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે સંખેડાથી કામ પતાવી ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત મળતી માહિતી અનુસાર, કરજણ તાલુકાના વલણ ગામના રહેવાસી નિશારભાઈ ઈસ્માઈલભાઈ જમાદાર પોતાના અંગત કામ અર્થે સંખેડા ગયા હતા. રાત્રિના સમયે તેઓ સંખેડા ખાતેથી પોતાનું કામ આટોપી ની એકટીવા પર સવાર થઈને પોતાના ગામ વલણ તરફ પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન ડભોઇ તાલુકાના કાયાવરોહણ અને સુલતાનપુરા ગામ વચ્ચેના માર્ગ પરથી પસાર થતી વખતે, સામેથી અચાનક આવી ચઢેલી એક પૂરપાટ ઝડપે દોડતી ફોર-વ્હીલર ગાડી સાથે તેમની
એકટીવા ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે નિશારભાઈ રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ગુપ્ત અને જાહેર ઇજાઓ પહોંચી હતી રાહદારીઓએ ૧૦૮ને બોલાવી, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો

અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસથી લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ તરત જ અકસ્માતનો ભોગ બનનાર આધેડની વહારે આવી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમ દ્વારા લોહીલુહાણ હાલતમાં નિશારભાઈને વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, કમનસીબે હોસ્પિટલ પહોંચતા સુધીમાં જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સયાજી હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક નિશારભાઈ ઈસ્માઈલભાઈ જમાદારના શવને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલણ ગામના આધેડનું અકસ્માતમાં આકસ્મિક મોત થતાં તેમના પરિવારમાં ભારે આક્રંદ અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
