NGES કેમ્પસની તમામ સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી

BIPS અને PPG Experimental School દ્વારા 21 પરમવીર ચક્ર વિજેતા વીર જવાનોને શ્રદ્ધાંજલિ સાથે અનોખી ઉજવણી
“સ્વતંત્રતા માત્ર ઉજવવાનો દિવસ નથી, તે રાષ્ટ્રનિર્માણની જવાબદારી સ્વીકારવાનો સંકલ્પ છે.” – ડૉ. જય ધ્રુવ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) સંચાલિત વિવિધ કોલેજો અને શાળાઓ ખાતે દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને કેન્દ્રસ્થાને રાખી સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત NGES કેમ્પસની વિવિધ સંસ્થાઓ દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને પ્રેરણા આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને Bhagwati International Public School (BIPS) અને PPG Experimental High School દ્વારા ભારતના સર્વોચ્ચ સૈન્ય શૌર્ય પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત 21 વીર જવાનોને સમર્પિત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર પરમવીર ચક્ર વિજેતા વીર જવાનોના શૌર્ય, સાહસ, કર્તવ્યનિષ્ઠા અને અદમ્ય રાષ્ટ્રપ્રેમથી પરિચિત કરાવવાનો હતો. BIPS અને PPG Experimental Schoolના વિદ્યાર્થીઓ દ્વારા 21 પરમવીર ચક્ર વિજેતા વીર જવાનોની જીવનગાથા, તેમના પરાક્રમ, યુદ્ધભૂમિમાં દર્શાવેલા અદમ્ય સાહસ અને રાષ્ટ્ર માટે આપેલા સર્વોચ્ચ બલિદાનને રજૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રસ્તુતિ દ્વારા વિદ્યાર્થીઓમાં વીર જવાનો પ્રત્યે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બની હતી.
કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, “આપણું સ્વપ્ન એવા ભારતનું છે, જ્યાં યુવાનો માત્ર રોજગાર શોધે નહીં, પરંતુ રોજગારનું સર્જન કરે; શિક્ષણ માત્ર ડિગ્રી ન આપે, પરંતુ નેતૃત્વ અને સંસ્કાર આપે; અને દરેક બાળકના સપનામાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના જીવંત હોય. આપણા વીર જવાનોનું શૌર્ય, ખેડૂતોની મહેનત, વૈજ્ઞાનિકોની પ્રગતિ અને યુવાનોની ઊર્જા જ્યારે એક જ દિશામાં આગળ વધશે, ત્યારે આપણે આત્મનિર્ભર, સંસ્કારી, નવીન અને વિશ્વનું નેતૃત્વ કરતું ભારત નિર્માણ કરી શકીશું.”

કાર્યક્રમમાં NGES કેમ્પસની વિવિધ સંસ્થાઓના આદરણીય પ્રિન્સિપાલશ્રીઓ, અધ્યાપકમિત્રો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે રાષ્ટ્રહિત અને રાષ્ટ્રનિર્માણ માટે સંકલ્પ લીધો હતો. 21 પરમવીર ચક્ર વિજેતા વીર જવાનોની ગાથાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતી આ પહેલ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી માત્ર એક રાષ્ટ્રીય પર્વ પૂરતી સીમિત ન રહી, પરંતુ વીરતા, ત્યાગ, કર્તવ્ય અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોને નવી પેઢીના મનમાં સંસ્કારિત કરતી પ્રેરણાદાયી પહેલ બની હતી.
