સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની મહત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી : ડૉ. કુંજલ ત્રિવેદી
શ્રી સોમનાથ અમૃત મહોત્સવમાં ઋષિકુમારો, મહિલા સ્ટાફ અને વૈદિક કાર્યક્રમોના સંકલનમાં નોંધપાત્ર યોગદાન..

વેરાવળ ખાતે યોજાયેલા શ્રી સોમનાથ અમૃત મહોત્સવ અને સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદીએ વૈદિક પરંપરા આધારિત વિવિધ કાર્યક્રમોના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.ડૉ. કુંજલ ત્રિવેદીને યુનિવર્સિટી તરફથી વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞવિધિ તેમજ મહિલા સ્ટાફ અને ઋષિકાઓના સમગ્ર આયોજન અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે બે દિવસ સુધી સતત તડકાભર્યા વાતાવરણ અને આશરે 45 ડિગ્રી તાપમાન વચ્ચે ટીમ સાથે સંકલન કરી કાર્યક્રમોને સફળ બનાવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશરે 700થી 800 જેટલા ઋષિકુમારો અને કન્યાઓ ઉપસ્થિત રહ્યા હતા. વેકેશન હોવા છતાં ઋષિકુમારોને રિહર્સલ માટે લાવવા-લઈ જવાની કામગીરી પણ યુનિવર્સિટીની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી.
ડૉ. કુંજલ ત્રિવેદી ભારતીય શિક્ષણ મંડળ, રાષ્ટ્ર સેવિકા સમિતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંગઠનો સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. વિદ્યાર્થી જીવન દરમિયાન તેઓ ABVP સાથે જોડાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેતૃત્વની ભૂમિકામાં પણ રહ્યા હતા.સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી ભવ્ય શૌર્યયાત્રામાં વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ડમરૂ નાદ દ્વારા આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. શૌર્યયાત્રામાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્ય રજૂઆતો કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સોમનાથ મંદિરના 75મા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશની પવિત્ર નદીઓના જળથી મહાકુંભ જળાભિષેક યોજાયો હતો. મંદિર શિખર પર સ્થાપિત મહાકુંભના જળાભિષેક માટે ઉપયોગમાં લેવાયેલ વિશેષ મંચ અને પુષ્પ શણગારની કામગીરીમાં પણ ડૉ. કુંજલ ત્રિવેદીએ યોગદાન આપ્યું હતું.ડૉ. કુંજલ ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર, શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
