રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ , તંત્ર સામે ગંભીર આક્ષેપો
કુંડામાં પાણી લાવી જયા ઠાકોરે અનોખો વિરોધ દર્શાવ્યો..
“કામ ન થતું હોય તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો” – જયા ઠાકોર
બજેટ અંગેની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરી મુદ્દે કોંગ્રેસનો વિરોધ…
સસ્પેન્ડ કરાયેલા ચીફ ઓફિસરની ફરી નિમણૂક મુદ્દે પણ સવાલો…

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકામાં બજેટને લઈને યોજાનારી સામાન્ય સભા બુધવારે ભારે હોબાળા અને રાજકીય તણાવ વચ્ચે બે મિનિટમાં જ વિખેરાઈ જતાં નગરપાલિકાની કાર્યપદ્ધતિ અને વહીવટી જવાબદારી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે બજેટ જેવી અગત્યની બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફિસરની ફરજિયાત હાજરી હોવી જોઈએ, પરંતુ આ બેઠકમાં ચીફ ઓફિસરની ગેરહાજરી જોવા મળતાં વિરોધ પક્ષ કોંગ્રેસે તીખો પ્રહાર કરતા સમગ્ર ઘટનાક્રમને “જવાબદારીથી ભાગતું તંત્ર” ગણાવ્યું હતું.
રાધનપુર નગરપાલિકામાં બજેટને લઈને યોજાનારી સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ તણાવપૂર્ણ વાતાવરણ સર્જાઈ ગયું હતું. કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોનો આક્ષેપ હતો કે શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ, ગંદકી,પીવાનું પાણી, ગંદકી નિકાલ, રોડ-રસ્તા અને વહીવટી બેદરકારી જેવા મુદ્દાઓ અંગે વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં બહુમતીના જોરે વિરોધ પક્ષની વાતો અવગણવામાં આવી રહી છે. વિરોધ પક્ષના સભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ હવે કામ કરવાના બદલે માત્ર બેઠકોનું ઔપચારિક આયોજન કરી પોતાની જવાબદારીમાંથી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો છે.

બજેટ જેવી અત્યંત મહત્વપૂર્ણ સામાન્ય સભામાં ચીફ ઓફિસરની ગેરહાજરીએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવ્યો હતો. વિરોધ પક્ષે જણાવ્યું હતું કે સામાન્ય સભામાં વહીવટદાર અથવા ચીફ ઓફિસરની હાજરી વિના બજેટ, ખર્ચ, વિકાસ કામો અને શહેરી પ્રશ્નો અંગે અસરકારક ચર્ચા શક્ય જ નથી. તેથી આ ગેરહાજરી માત્ર ઔપચારિક ભૂલ નહીં પરંતુ નગરપાલિકાના વહીવટી ઢીલાશ અને બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. આ મુદ્દે કોંગ્રેસના સભ્યો દ્વારા કડક વાંધો ઉઠાવવામાં આવતા બેઠકમાં ગેરવ્યવસ્થા સર્જાઈ અને સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ ગઈ.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પાલિકાના વોર્ડ નંબર-૧ના સભ્ય જયા ઠાકોરે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચીફ ઓફિસર સામાન્ય સભામાં કેમ હાજર રહ્યા નથી, તેનું લેખિત કારણ જાહેર કરવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો નગરપાલિકાનું તંત્ર પોતાની ફરજ બજાવવા તૈયાર નથી, તો આવી બેઠકો માત્ર દેખાવ પૂરતી જ રહી જાય છે. તેમણે સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર બંને પર લોકોની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ પણ કર્યો હતો.
વિરોધને વધુ પ્રતીકાત્મક અને આક્રમક સ્વરૂપ આપતા જયા ઠાકોર દ્વારા કુંડામાં પાણી લાવી વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે ગુસ્સાભેર કહ્યું હતું કે “કામ ન થતું હોય તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો.” આ નિવેદન બાદ નગરપાલિકા પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હાજર લોકો અને કાર્યકરોમાં પણ આ મુદ્દે ભારે ચર્ચા જોવા મળી હતી. રાજકીય રીતે આ નિવેદન તીખું અને આક્રમક ગણાઈ રહ્યું છે, પરંતુ વિરોધ પક્ષના મતે આ શબ્દો રાધનપુરની જનતામાં ઉદ્ભવેલા અસંતોષનું પ્રતિબિંબ છે.

વિરોધ પક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે શહેરના અનેક પ્રશ્નો અંગે અવારનવાર રજૂઆતો છતાં કોઈ અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગંદકી, વરસાદી પાણીના નિકાલ, રસ્તાઓની હાલત, નાગરિક સુવિધાઓમાં ખામી, અને શહેરના વિકાસ કામોની ધીમી ગતિ જેવા મુદ્દાઓ પર અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને સત્તાધારી પક્ષ બંને તરફથી માત્ર મૌન જ મળ્યું હોવાનું જણાવાયું હતું. કોંગ્રેસના સભ્યોના મતે, સામાન્ય સભા જેવી સંસ્થાગત વ્યવસ્થા હવે લોકહિત માટે નહીં પરંતુ માત્ર બહુમતીના બળે ઔપચારિકતા નિભાવવાનું સાધન બની રહી છે.
આ સમગ્ર મામલામાં વધુ એક વિવાદાસ્પદ મુદ્દો એ પણ સામે આવ્યો હતો કે અગાઉ સસ્પેન્ડ કરાયેલા ચીફ ઓફિસરને ફરીથી રાધનપુર નગરપાલિકામાં મુકવામાં આવતા શહેરમાં પહેલેથી જ અસંતોષનો માહોલ હતો. હવે બજેટની સામાન્ય સભા દરમિયાન તેમની ગેરહાજરીએ આ મુદ્દાને વધુ ગરમાવ્યો છે. શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ આ બાબતે ચર્ચા તેજ બની છે કે જે અધિકારી અંગે અગાઉ પ્રશ્નો ઊભા થયા હતા, તે જ અધિકારી ફરીથી મુકાયા પછી પણ નગરપાલિકાની કાર્યપદ્ધતિમાં કોઈ સુધારો દેખાતો નથી.નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ જાય, ચીફ ઓફિસર ગેરહાજર રહે અને વિરોધ પક્ષ ગંભીર આક્ષેપો કરે, ત્યારે જવાબદાર પદાધિકારીઓ મૌન કેમ સાધે છે?
આ સમગ્ર ઘટનાએ રાધનપુર નગરપાલિકાની કાર્યક્ષમતા, પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. એક તરફ બજેટ જેવી અગત્યની બેઠક, બીજી તરફ ચીફ ઓફિસરની ગેરહાજરી, અને ત્રીજી તરફ વિરોધ પક્ષનો ઉગ્ર પ્રહાર – આ ત્રણેય બાબતો મળીને નગરપાલિકાના વહીવટ સામે લોકોનો વિશ્વાસ કેટલો ડગમગી રહ્યો છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે.હવે જોવાનું એ રહેશે કે ચીફ ઓફિસરની ગેરહાજરી અંગે નગરપાલિકા તંત્ર લેખિત સ્પષ્ટતા આપે છે કે નહીં, વિરોધ પક્ષના આક્ષેપો પર કોઈ વહીવટી કાર્યવાહી થાય છે કે નહીં, અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે શહેરના લોકોના પ્રશ્નો પર નગરપાલિકા હવે ખરેખર કામ શરૂ કરે છે કે ફરી એકવાર આ સમગ્ર વિવાદ રાજકીય હોબાળામાં દબાઈ જાય છે.
રિપોર્ટ :અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
