ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણમાં ATSનું મેગા ઓપરેશન: સિદ્ધપુરના ખડિયાસણ મદ્રેસામાંથી 3 સહિત જૈશ-એ-મોહમ્મદના 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા
રથયાત્રાના 13 દિવસ પહેલાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી; રાજ્યમાં આતંકી નેટવર્ક ઊભું કરવાની કથિત સાજિશનો પર્દાફાશ
અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ATSએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા કુલ 8 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક ઉભું કરવા, કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા અને નવા સભ્યો જોડવાના પ્રયાસોમાં સક્રિય હતા.
આ સમગ્ર ઓપરેશનમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે આવેલી એક મદ્રેસામાંથી ત્રણ આરોપીઓ ઝડપાતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. ATS દ્વારા ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા વર્ષોથી મદ્રેસામાં રહેતા અથવા ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ATSના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય, ડિજિટલ ચેટ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત મહત્વના પુરાવાઓ મળી આવ્યા છે. તપાસ દરમિયાન બોમ્બ બનાવવાની તૈયારી, કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાના પ્રયાસો તેમજ દેશ વિરોધી કાવતરાં અંગેની માહિતી પણ મળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે આરોપીઓ જાહેર સ્થળોએ નિર્દોષ લોકોને નિશાન બનાવવાની કથિત યોજના અંગે ચર્ચા કરતા હતા. ઉપરાંત, ડિજિટલ ચેટમાં દેશ વિરોધી અને ઉશ્કેરણીજનક સંદેશાઓ પણ મળ્યા હોવાનું ATSના સૂત્રોએ જણાવ્યું છે. આ તમામ સામગ્રીની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

ખડિયાસણ ગામેથી ઝડપાયેલા ત્રણ આરોપીઓ:
– મોહંમદ અમીન શેર (રહે. ચાટાવાડા, તા. સિદ્ધપુર) – છેલ્લા લગભગ 7 વર્ષથી મદ્રેસામાં રહેતો હતો.
– મોહંમદ ફોઝાન ઇસ્માઈલ દાઉવા (રહે. ટોકરીયા, જી. બનાસકાંઠા) – છેલ્લા લગભગ 4 વર્ષથી મદ્રેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
– ઝકરીયા અમ્માર દુરાની ઘાઘા (રહે. ભાગળ, જી. બનાસકાંઠા) – છેલ્લા લગભગ 4 વર્ષથી મદ્રેસામાં રહેતો હતો.
ગુજરાત ATSએ તમામ આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (UAPA) સહિત સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર નેટવર્ક, અન્ય સંભવિત સાગરીતો અને આંતરરાજ્ય કડીઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
