પ્રાકૃતિક ખેતીનો સફળ મોડેલ: 40 વીઘામાં 4 હજાર કચ્છ કેસર આંબા!

દહિસર ગામે પ્રાકૃતિક ખેતીનું અનોખું મોડેલ 40 વીઘામાં 4 હજાર કચ્છ કેસરના આંબા સાથે ખેડૂતની સફળતા
ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી વર્ષે લાખોની આવક – ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું દહિસરનું સોઢા ફાર્મ હાઉસ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ના દહિસર ગામે પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ અને સફળ મોડેલ ઉભું થયું છે, જ્યાં 40 વીઘા જમીનમાં 4 હજાર કચ્છ કેસરના આંબાના છોડ ઉગાડી ગાય આધારિત પદ્ધતિથી કૃષિને નવી દિશા આપવામાં આવી રહી છે. આ મોડેલ હવે સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છૅ.સાંતલપુરના દહિસર ગામે પ્રાકૃતિક અને ઔર્ગેનિક ખેતીનું એક અનોખું અને પ્રેરણાદાયી મોડેલ વિકસ્યું છે. અહીં ખેડૂત સોઢા શેતાનસિંહ ખોડુજી દ્વારા 40 વીઘા જમીનમાં આશરે 4 હજાર કચ્છ કેસરના આંબાના છોડ ઉગાડીને સફળતાની નવી દિશા સ્થાપિત કરવામાં આવી છે. ગાય આધારિત ખેતી પદ્ધતિ સાથે સંકળાયેલ આ પ્રયાસ આજે આસપાસના ગામોના ખેડૂતો માટે માર્ગદર્શક બની રહ્યો છે.

આ ફાર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવામાં આવી છે. ફાર્મ હાઉસ પર 20થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે, જેના ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત, ઘન ખાતર અને અન્ય કુદરતી પોષક તત્વો તૈયાર કરીને પાકમાં ઉપયોગ કરવામાં આવે છે. આથી જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે અને ઉત્પાદન પણ ગુણવત્તાસભર મળે છે.
ખેડૂત દ્વારા એક વીઘામાં સરેરાશ 100 આંબાના છોડ ઉગાડીને વૈજ્ઞાનિક આયોજન સાથે ખેતી કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્પાદનક્ષમતા વધી રહી છે. વર્ષ 2017થી શરૂ કરાયેલ આ પ્રયોગ આજે સફળતાની મજબૂત મંજિલ સુધી પહોંચ્યો છે. શરૂઆતના સમયમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન રૂપે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ સમયાંતરે ફાર્મની મુલાકાત લઈને ખેડૂતને માર્ગદર્શન અને ઉત્સાહ આપતા રહ્યા છે.
આ ખેતીમાં પરિવારનો પણ મહત્વપૂર્ણ ફાળો છે. ખેડૂતના પુત્ર ડોક્ટર ધર્મેન્દ્રસિંહ અને સોઢા ભગીરથસિંહ નવી ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓનો સમન્વય કરી ખેતીને વધુ કાર્યક્ષમ અને નફાકારક બનાવી રહ્યા છે. પરિવારની સંયુક્ત મહેનત અને દૃઢ નિશ્ચય આ સફળતાનો મુખ્ય આધાર છે.

આર્થિક રીતે પણ આ મોડેલ ખૂબ સફળ સાબિત થઈ રહ્યો છે. હાલમાં આ ફાર્મ પરથી દર વર્ષે અંદાજે રૂ. 20 થી 25 લાખ જેટલું ઉત્પાદન મળી રહ્યું છે, જે ખેડૂત માટે મજબૂત આવકનું સાધન બન્યું છે. ઉપરાંત, આગામી સમયમાં છોડ સંપૂર્ણ પરિપક્વ થતાં આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે અને આવક રૂ. 45 થી 50 લાખ સુધી પહોંચવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલમાં કચ્છ કેસર કેરીનો હોલસેલ ભાવ પ્રતિ કિલો રૂ. 100 થી 120 સુધી મળતા હોવાથી ખેડૂતને સારો નફો મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીના કારણે કેરીની ગુણવત્તા, સ્વાદ અને બજારમાં માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે આ ફાર્મને સારી ઓળખ મળી રહી છે.
ખેડૂત દ્વારા વિસ્તારના અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી છે, જેથી ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકાય અને પર્યાવરણમિત્ર ખેતીને પ્રોત્સાહન મળે.
આ મોડેલ માત્ર આવક વધારવાનું સાધન નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પણ છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ વિના થતી ખેતી જમીનની ઉર્વરતા જાળવી રાખે છે અને સ્વસ્થ ઉત્પાદન આપે છે, જે આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે.
દહિસર ગામનો આ પ્રયોગ હવે આસપાસના ગામોમાં પણ પ્રેરણા ફેલાવી રહ્યો છે. અનેક ખેડૂતો આ મોડેલ અપનાવી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં અને કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ
