ભારતીય સેનામાં અગ્નિવીર બનવા ઇચ્છુક યુવાનો માટે પાટણમાં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક માસીય વિશેષ તાલીમનું આયોજન
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર તરીકે જોડાવા ઇચ્છુક યુવાનો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. લશ્કરી ભરતી મેળા પૂર્વે ઉમેદવારોને વધુ સારી તૈયારી મળી રહે તે હેતુથી આગામી ઓગસ્ટ-2026 મહિનાથી એક માસનો નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવનાર છે.
આ તાલીમ કાર્યક્રમમાં એસ.એસ.સી. પાસ અથવા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા, 17½ વર્ષથી 23 વર્ષ વચ્ચેની વય ધરાવતા તેમજ સંરક્ષણ ક્ષેત્રમાં ભરતી થવા માટે જરૂરી શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
રસ ધરાવતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ ખાતેથી અરજી ફોર્મ મેળવી પોતાની શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો, સ્વપ્રમાણિત નકલો તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે પૂર્ણ અરજી તા. 15/07/2026 સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ મારફતે જિલ્લા રોજગાર કચેરી, બ્લોક નં.-2, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, પાટણ ખાતે મોકલી આપવાની રહેશે.
પસંદગી પામેલા ઉમેદવારોને 30 દિવસ સુધી સંપૂર્ણપણે નિઃશુલ્ક શારીરિક તથા લેખિત પરીક્ષાની તાલીમ આપવામાં આવશે. ઉપરાંત તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના યુવાનો પણ સૈન્ય ભરતીની તૈયારી કરી શકે.
નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
અગાઉ તાલીમનો લાભ મેળવી ચૂકેલા ઉમેદવારોને ફરીથી આ તાલીમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમજ આ તાલીમમાં ઉમેદવારોની પસંદગી માટે આર્મી ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કાને અનુરૂપ લેખિત પરીક્ષાના આધારે પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.
જિલ્લાના યુવાનોને ભારતીય સેનામાં કારકિર્દી બનાવવાની સુવર્ણ તકનો લાભ લેવા અને સમયમર્યાદામાં અરજી કરવા વિનંતી છે.
