રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..

છાણીયાથર-ભીલોટ બેઠક બિનહરીફ, ભાજપને સીધી જીત..
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં જ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તાલુકાની કુલ 18 બેઠકોમાંથી 2 બેઠક બિનહરીફ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટ થયો છે. છાણીયાથર અને ભીલોટ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બનતા તાલુકાની રાજકીય હલચલ વધુ તેજ બની છે.
છાણીયાથર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર ભગીબેન હરેશભાઈ આહિર બિનહરીફ વિજેતા બન્યા છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભચીબેન ભોજાભાઈ આહિરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા આ બેઠક પર ભાજપનો સીધો વિજય થયો હતો. આ બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
આ સાથે ભીલોટ તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપનો બિનહરીફ વિજય નોંધાયો છે. ભાજપના ઉમેદવાર ઓખાબેન માદેવભાઈ રબારી વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર મંજુબેન મફાભાઈ ઠાકોરે અંતિમ દિવસે પોતાનું ફોર્મ પરત ખેંચતા આ બેઠક પણ બિનહરીફ બની હતી. પરિણામે, બંને બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.
કોંગ્રેસ દ્વારા બંને બેઠકો પર ઉમેદવારી પાછી ખેંચાતા ભાજપને સીધો રાજકીય લાભ મળ્યો છે. ચૂંટણી પહેલા જ બે બેઠકો પર વિજય મળતા ભાજપ માટે આ મહત્વપૂર્ણ રાજકીય સફળતા માનવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે પડકારજનક બની છે.
હવે રાધનપુર તાલુકા પંચાયતની બાકીની 16 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આમ, આવનારી ચૂંટણીમાં રાજકીય જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
