રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

એલ.સી.બી. પાટણની કામગીરીમાં 4 આરોપી ઝડપાયા, રૂ. 3.44 લાખનો મુદ્દામાલ કબ્જે….
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર શહેરમાં દુકાનનું શટર તોડી કરવામાં આવેલી મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) એ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખતા પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે. આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડી, તેમની પાસેથી ચોરાયેલા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3 લાખ 44 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાધનપુર વિસ્તારમાં આવેલી “માજીસા” નામની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો અને પોલીસ માટે આ ગુનો ઉકેલવો પડકારરૂપ બન્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલ.સી.બી. પાટણ તથા રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજનું સૂક્ષ્મ નિરીક્ષણ, ટેક્નિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.તપાસ દરમિયાન પોલીસે ગુનામાં સંડોવાયેલા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓ ચોરીનો ગુનો કબૂલ કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસએ તેમની પાસેથી ચોરાયેલા કુલ 30 મોબાઈલ ફોન તથા અન્ય 2 મોબાઈલ ફોન મળી કુલ 32 મોબાઈલ કબ્જે કર્યા છે.

આ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે વપરાયેલી કાળા રંગની પલ્સર મોટરસાયકલ પણ પોલીસે જપ્ત કરી છે. આમ, મોબાઈલ ફોન અને બાઈક સહિતનો કુલ રૂ. 3,44,000/- નો મુદ્દામાલ કબ્જે કરીને સમગ્ર ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ચાર ઈસમોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો મળી આવી છે, જેના આધારે પોલીસ તેમના જૂના ગુનાઓ તથા અન્ય સંડોવણી અંગે પણ વધુ તપાસ આગળ ધપાવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન એલ.સી.બી. પાટણની ટીમે ઝડપી અને સતર્ક કામગીરી કરી હતી, જેના પરિણામે રાધનપુર પોલીસને મોટી સફળતા મળી છે. વેપારીઓ અને નાગરિકોમાં પણ આ કામગીરીને લઈ રાહતની લાગણી ફેલાઈ છે.સ્થાનિક સ્તરે વારંવાર બનતી ચોરીની ઘટનાઓ વચ્ચે આ કેસનો ઝડપી ભેદ ઉકેલાતા પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. હાલમાં પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી અન્ય કોઈ ગુનાખોરીના કિસ્સાઓ સાથે તેમનો સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.રાધનપુરમાં બનેલી આ ચોરીની ઘટનાનો ટૂંકા ગાળામાં ભેદ ઉકેલી એલ.સી.બી. પાટણએ પોતાની કાર્યક્ષમતા ફરી એકવાર સાબિત કરી છે, જેને પગલે સમગ્ર જિલ્લામાં આ કામગીરી ચર્ચાનો વિષય બની છે તેમજ પોલીસની કામગીરી ને બિરદાવવામાં આવી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
