રાજુ કરપડાના રાજીનામા અંગે “આપ” ના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆની પ્રતિક્રિયા
કાર્યકર્તાઓનું યોગદાન ભૂલવું ના જોઈએ, ઘર વાપસી માટે નું વાતાવરણ બનાવી રાખવું જોઈએ: દિનેશ બારીઆ

કેપિટલ મેસેજ, ન્યુઝ
વર્ષોથી એકહથ્થુ શાસન ભોગવતી ભાજપ સરકાર સામે લોકોની નારાજગી વધી રહી છે. સરકાર તથા ભાજપની સામે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે અને કોંગ્રેસ વર્ષોથી નિષ્ફળ રહ્યું છે તેથી ગુજરાતની જનતાને હવે આમ આદમી પાર્ટી ઉપર આશા બંધાઈ છે તેથી આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે અને પાર્ટીને વધુ મજબૂત બનાવવા કાર્યકરો પોતાના કઠીન સમયમાં તન, મન, ધનથી યોગદાન આપી રહ્યા છે. ત્યારે પાર્ટીના દરેક કાર્યકર્તાઓનું યોગદાન ભૂલવું ના જોઈએ.
ગુજરાતમાં ૨૦૨૦ થી પાર્ટી સક્રિય ભૂમિકામાં આવી છે અને સરકાર બનાવવા તનતોડ મહેનત કરી રહી છે. બે વર્ષ જેટલી મહેનતનું પણ પાર્ટીને ઘણું સારું પરીણામ ગુજરાતમાં ૨૦૨૨ ની વિધાનસભામાં મળ્યું છે, વિધાનસભાની પાંચ બેઠકો મળી, ૪૫ લાખ જેટલા મતો મળ્યા, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની આ પરીણામ રાજકારણમાં નાનું નથી. જો બે વર્ષની મહેનત ના અંતે આટલું સારું પરિણામ મળ્યું એ કોઈ વ્યક્તિ વિશેષ ના કારણે નહીં પરંતુ ગુજરાતની સ્થિતિના કારણે મળ્યું છે. ગુજરાતમાં લોકો વર્ષોથી બદલાવ, પરીવર્તન ઇચ્છે છે પરંતુ કોંગ્રેસ સિવાય બીજો કોઇ રાજકીય પક્ષ સક્રિય ભૂમિકામાં ના હોવાના કારણે અને કોંગ્રેસ ખુદ પોતાની નબળાઈઓને કારણે સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકો માટે એક નવો વિકલ્પ બન્યો, લોકોની આશાઓ જાગી અને હજારો ક્રાન્તિકારી યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા અને પાર્ટીનું મજબૂત સંગઠન બનાવવા માટે પોતાના તન, મન અને ધનથી યોગદાન આપવા લાગ્યા છે ત્યારે હવે ગુજરાત આમ આદમી પાર્ટીએ કોઈ ભૂલ ના કરવી જોઈએ. ખુબ સમજદારી સાથે અને સંયમિત રીતે આગળ વધવું જોઈએ.
પાર્ટીને મતદારોની સાથે સાથે નેતૃત્વ કરી શકે તેવું સંગઠન પણ બનાવવું પડે અને સાચવવું પડે. રાજકારણમાં મહત્વકાંક્ષી હોવું તે ખોટું નથી, મહત્વકાંક્ષી લોકો જ પરીવર્તન લાવી શકે તેથી આવા લોકોને આગળ લાવી, વધું પ્રોત્સાહન આપી તૈયાર કરવા જોઈએ.
પક્ષ,વ્યક્તિ કે નેતૃત્વ થી કોઇની કોઈ નારાજગી હોય તો તે રાજકારણમાં સ્વાભાવિક છે પરંતુ તેને સમયસર સાંભળવી, સમજવી અને યોગ્ય રીતે ઉકેલ લાવવો તે પણ પાર્ટીની જવાબદારીમાં આવે. પાર્ટી કે સરકાર ક્યારેય બે ચાર વ્યક્તિઓથી ના ચાલે તે માટે મોટી ફોજ તૈયાર કરવી પડે. લોકોને સક્ષમ કાર્યકર્તાઓ નજર સામે દેખાશે તો જ ભરોસો વધશે તેથી કાર્યકરોને વિશેષ જવાબદારી આપી તૈયાર કરવા જોઈએ.
છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો. પાર્ટીના મજબૂત, બાહોશ અને નિડર નેતા રાજુભાઈ કરપડા એ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું આ ઘટના ગુજરાતના રાજકારણમાં અને આમ આદમી પાર્ટીના સંગઠનમાં સામાન્ય નથી. રાજીનામું આપવું એ કદાચ સામાન્ય કહી શકાય પરંતુ તે પછીનો વિવાદ, આક્ષેપ પ્રતિ આક્ષેપ જરાય સામાન્ય નથી.
દરેક વ્યક્તિનું યોગદાન ભૂલવું ના જોઈએ, કોઈ કાર્યકર્તાની કોઈ નારાજગી કે ગેર સમજ હોય તો તેને શક્ય તેટલી દુર કરવા પુરા પ્રયત્ન કરવા જોઈએ અને તેમ છતાં દુર ના કરી શકાય તેમ હોય તો બદનામ તો ના જ કરવા જોઈએ. આવા સમયે જ પરિપક્વ અનુભવો, વિચારો, નિવેદનો અને નિર્ણયોની જરૂર પડતી હોય છે. પોતાનો કાર્યકર નારાજ થઈ ને રાજીનામું ભલે આપે પરંતુ ફરીથી પાર્ટીમાં આવવા માટે ના દરવાજા હંમેશા ખુલ્લા રાખવા જોઈએ. ઉતાવળમાં કે પોતાની ભૂલ ના કારણે જો નિર્ણય લેવાયો હોય તો તે ખુશીથી પરત ઘર વાપસી કરે તેવું વાતાવરણ આપવું જોઈએ. રાજકારણમાં આવેલા વ્યક્તિઓ કોઈ દુધે ધોયેલા હોતા નથી એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ પુરા સત્ય કે અસત્ય હોતા નથી. કારણ વગર કાર્ય શક્ય નથી, આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં મહ્દઅંશે સત્યતા છુપાયેલી હોય છે તેથી સંપૂર્ણ સાચો કોઇનો પણ પક્ષ કે આરોપ હોતો નથી.
રાજુભાઈ કરપડા જો કદાચ પોતાના ગંભીર ગુનાના કેસો દુર કરવા ભાજપમાં જતા પણ હોય તો પણ તેમને રાજીખુશીથી અને સ્વમાન ભેર મોકલવા જોઈએ આ પણ એક રાજનીતિ, કૂટનીતિ નો ભાગ બનાવવો જોઈએ. આ રીતે પણ આપના કાર્યકરનો માનસિક બોજ દુર થતો હોય તો તે જરાય અનુચિત નથી. જ્યારે બોજ દુર થઇ જાય ત્યારે પરત ઘર વાપસી કરવા વ્યક્તિ ચોક્કસ નિર્ણય લઇ શકે.
રાજકારણમાં સત્તા મેળવવા કે રહેવા રણનીતિ કૂટનીતિ ઉપર ખાસ્સો વિચાર કરવો પડે છે. પોતાના કાર્યકરને વિરોધ પક્ષમાં મોકલીને ઘણી બધી બાબતો પર મહત્વની જાણકારી મેળવી શકાય છે અને પોતાની ચાલને દિશા આપી શકાય આ પણ એક રણનીતિ નો ભાગ છે.
આસાનીથી કોઈ વ્યક્તિની પ્રતિભાને નજર અંદાજ ના કરી શકાય. લોકો નેતા બનાવે છે કોઈ પાર્ટી નહીં તેથી કોઈના આવવા અથવા જવાનો પ્રભાવ, ફરક ચોક્કસ પડે છે એટલે કાર્યકર્તાને સાચવવાની પ્રાથમિકતા રહેવી જોઈએ.
જનતા કોઇના પણ આક્ષેપ કે નિવેદનને પૂર્ણ સત્ય માની લેતી નથી એટલે ખોટા આક્ષેપ, નિવેદનો કે ખુલાસાથી જનતાના માનસમાં ખોટી છાપ ઉભી કરે છે તેથી મૌન રહીને માફ કરવું જ ઉચીત ગણાય.
આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ખુબ સારા નેતાઓ મળ્યા છે આજે આમ આદમી પાર્ટીનું એપી સેન્ટર ગુજરાત બન્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે ઇસુદાનભાઇ ગઢવી પરફેક્ટ મળ્યા છે તેઓનું વ્યક્તિત્વ, સ્વભાવ, સમજ અને સ્નેહ દરેક ને પ્રભાવિત કરે છે તેઓમાં પુરેપુરી ક્ષમતા છે.સમગ્ર ગુજરાતમાં તથા તમામ જાતિ સમાજના વર્ગમાં તેમની ચાહના છે. ગોપાલભાઈ ઇટાલિયા બુદ્ધિશાળી અને પ્રભાવશાળી નેતા છે. તેમનું ભાષણ લોકોને આકર્ષિત કરે છે. મુદ્દાઓની રજૂઆત કરવામાં સક્ષમ છે. ચૈતરભાઇ વસાવા લોકપ્રિય નેતા છે તેમનો પ્રભાવ આદિવાસી વિસ્તારમાં આજે આકાશને આંબે છે. આદિવાસી વિસ્તારમાં ઉગતો સૂરજ અને આશાનું કિરણ છે. મનોજભાઈ સોરઠીયા ગુજરાત આમ આદમી પાર્ટીનું મૂળ છે, સંગઠનને સંભાળવામાં સફળ છે સ્પષ્ટ અને તટસ્થ છે. સાગરભાઇ રબારી, બ્રિજરાજ સોલંકી, સામંત ગઢવી, પ્રવિણ રામ, યુવરાજસિંહ, રેશ્મા પટેલ, પાયલ સાકરિયા, રાકેશ હિરપરાજેવા અનેક કાર્યકરો લોકોમાં જાણિતા બન્યા છે તેમના મજબૂત અવાજ ઊર્જા જગાવે છે પરંતુ હજું પણ પાર્ટીને મજબૂત ટીમ બનાવવાની જરૂર છે. તેથી નાનામાં નાના કાર્યકરને પણ સાચવવો જોઈએ તથા પાર્ટીને છોડીને ગયેલા કાર્યકરોને પાછા લાવવા માટે સ્પેશિયલ ઓપરેશન કરવું જોઈએ. મતભેદ, મનભેદ, ઈગો, ઇર્ષ્યા, વ્યક્તિગત સ્વાર્થ જેવું બધું જ બાજુ પર મૂકીને ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી માટે કરવું જોઈએ. બાકી ગુજરાતની જનતા ખુબ સમજદાર છે. નેતાઓની વાત, વર્તન, વિચાર અને વ્યવહાર ને સારી રીતે ઓળખી લે છે સમજી લે છે. છેલ્લે “જો જીતા વહી સિકંદર ” જીત નહીં તો કુછ નહીં….
દિનેશ બારીઆ
પ્રદેશ સહમંત્રી
આમ આદમી પાર્ટી ગુજરાત
