પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

અગમ્ય કારણોસર અંતિમ પગલું, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ શહેરમાં યુવાનના આપઘાતની ઘટનાએ ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. શહેરના ધાંધલના છાપરા વિસ્તારમાં 22 વર્ષીય યુવાને પોતાના જૂના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન અંત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને શોકનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ અનાવાડા રોડ પર આવેલી સાંઈ સપ્ત રેસીડેન્સીમાં રહેતા દિલીપજી રમેશજી ઠાકોરના નાના ભાઈ રાહુલજી રમેશજી ઠાકોર (ઉંમર 22) ધાંધલના છાપરા વિસ્તારમાં આવેલ તેમના જૂના ઘરે ગયા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેમણે દોરડાની મદદથી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પરિવારજનોને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ રાહુલજીને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ તેમનું કરુણ અવસાન થઈ ચૂક્યું હતું. આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતક રાહુલજી છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
હાલ સુધીમાં યુવાને આ પ્રકારનું ગંભીર પગલું કયા કારણોસર ભર્યું તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે દિલીપજી રમેશજી ઠાકોરની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
આ ઘટના યુવાનોમાં વધતી માનસિક તણાવ અને સંવેદનશીલ પરિસ્થિતિઓ તરફ પણ સંકેત આપે છે, જેના કારણે સમાજમાં જાગૃતિ અને સંવાદની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
