રાધનપુરમાં શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે ભક્તિભાવભેર હનુમાન જન્મોત્સવ ઉજવાયો

પંચકૂંડી મહાયજ્ઞ ભવ્ય શોભાયાત્રા અને ડીજેના તાલે સમગ્ર રાધનપુર શહેરમાં ધાર્મિક માહોલ ગુંજી ઉઠ્યો…
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર શહેરમાં હનુમાન જન્મોત્સવ ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવાયો હતો. શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે પંચકુંડી મહાયજ્ઞ, ભવ્ય શોભાયાત્રા અને પ્રસાદ વિતરણ જેવા ધાર્મિક કાર્યક્રમોથી શહેરમાં આસ્થા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
રાધનપુરમાં શ્રી વઢિયાર રાપરીયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજના સંયુક્ત આયોજન હેઠળ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.

હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી રાપરીયા હનુમાનજી મંદિરથી રાધનપુર રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજના સંતો, મહંતો, ભક્તજનો તેમજ રાધનપુર શહેરની ધર્મપ્રેમી જનતા ઉત્સાહભેર જોડાઈ હતી. શોભાયાત્રા દરમિયાન ઠંડુ પાણી છાશ સહીત કુલ્ફી વિતરણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવ્યું હતું
શોભાયાત્રામાં પાંચ બગીઓ, ટ્રેક્ટરો તેમજ ડીજેના તાલ સાથે સમગ્ર શહેરમાં ભક્તિમય અને ઉત્સવી માહોલ જોવા મળ્યો હતો. માર્ગભરમાં ભક્તોએ જયઘોષો સાથે ધાર્મિક ઉમંગ વ્યક્ત કર્યો હતો.

ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે વહેલી સવારથી શ્રી રાપરીયા હનુમાનજી મંદિર ખાતે પંચકુંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાયજ્ઞમાં યજમાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હવન-પૂજન કરવામાં આવ્યું હતું.
ઉત્સવ દરમિયાન મંદિરે આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે ચા-પાણી, નાસ્તો તેમજ ભોજન પ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર આયોજનમાં શ્રી વઢિયાર રાપરીયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ તથા ઉપપ્રમુખ મહેશભાઈ સાધુ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે જ શ્રી રાપરીયા યુવા સંગઠનના યુવા મિત્રો દ્વારા સેવાકીય કામગીરી, પ્રસાદ વિતરણ, ભક્તજનોની વ્યવસ્થા અને શોભાયાત્રા સંકલનમાં સક્રિય ભાગ ભજવવામાં આવ્યો હતો.
હનુમાન જન્મોત્સવ, પંચકુંડી મહાયજ્ઞ અને ભવ્ય શોભાયાત્રાના આ આયોજનથી રાધનપુર શહેરમાં ભક્તિ, આસ્થા અને ધાર્મિક એકતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર.પાટણ
