રાધનપુરમાં જાણીતી અને પ્રખ્યાત પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં ગંદકીનો ગોટાળો! ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુરમાં પટેલ આઈસ્ક્રીમ ખાવાના શોખીનો ચેતી જજો..!!
માસ્ક-ગ્લોઝ વગર વર્કરો દ્વારા પેકિંગ! ખાદ્ય સુરક્ષા નિયમોનો ખુલ્લેઆમ કરાઈ રહ્યો છેં ભંગ..
તંત્ર હવે ઊંઘમાંથી જાગી સક્રિય અને સજાગ બને, અને લોકોના આરોગ્ય સાથે થતા આવા ગંભીર ચેડા સામે તાત્કાલિક તથા કડક કાર્યવાહી કરે તે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.
ફૂડ વિભાગ અને પાલિકા સામે તાત્કાલિક કાર્યવાહીની લોકોમાં માંગ ઉઠી…
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રાધનપુર -સાંતલપુર નેશનલ હાઈવે ઉપર ભીલોટ ચોકડી ઉપર આવેલી પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાંથી ચોંકાવનારી અને ગંભીર બેદરકારીનો મામલો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આઈસ્ક્રીમ જેવી સીધી રીતે આરોગ્ય સાથે સંકળાયેલી ખાદ્ય વસ્તુના ઉત્પાદન દરમિયાન જ સ્વચ્છતા અને સલામતીના નિયમોને પગેછાંદાં પાડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, રાધનપુર–સાંતલપુર નેશનલ હાઇવે ઉપર ભીલોટ ચોકડી નજીક આવેલી આ ફેક્ટરીમાં કામદારો બિનસુરક્ષિત અને બિનસ્વચ્છ સ્થિતિમાં કામ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કામદારોના મોઢા ઉપર માસ્ક નથી, હાથમાં ગ્લોઝ નથી, ખુલ્લા વાળ સાથે અને પગમાં ચપલ પહેરીને જ આઈસ્ક્રીમના પેકેજિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ દ્રશ્યો ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા માટે બનાવાયેલા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન દર્શાવે છે. આવી બેદરકારી સીધી રીતે ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. ખાસ કરીને આઈસ્ક્રીમ જેવા પ્રોડક્ટ્સમાં સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી હોય છે, છતાં અહીં સ્પષ્ટપણે નિયમોની અવગણના થઈ રહી છે.
પટેલ આઈસ્ક્રીમ એક જાણીતી બ્રાન્ડ હોવા છતાં આ પ્રકારની બેદરકારી સામે આવતાં લોકોમાં અસંતોષ ફેલાયો છે. ગ્રાહકોના મનમાં સવાલ ઊભો થયો છે કે શું તેઓ જે ખાદ્ય વસ્તુઓ ખરીદી રહ્યા છે તે ખરેખર સુરક્ષિત છે કે નહીં?
આ સમગ્ર મામલે ફેક્ટરી સંચાલન સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શું મેનેજમેન્ટ દ્વારા કામદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું નથી? શું સ્વચ્છતા અને સલામતી માટે કોઈ નિયંત્રણ જ નથી?
હવે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકાની કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે. શું આવા ગંભીર ઉલ્લંઘન સામે તાત્કાલિક તપાસ હાથ ધરાશે? શું જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી મામલો ઠંડા બસ્તામાં મુકાઈ જશે?
સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે કે તંત્ર તાત્કાલિક સક્રિય બને, ફેક્ટરીની તપાસ કરે અને ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવે. લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન ન થવી જોઈએ.
આ ઘટના તંત્ર માટે ચેતવણી સમાન છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી બેદરકારી ભવિષ્યમાં મોટા આરોગ્ય સંકટનું રૂપ લઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલું ઝડપથી અને કડક પગલાં ભરે છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
