સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ ચૌધરી બન્યા IAS અધિકારી : ગત વર્ષે IPS, આ વર્ષે 115મા રેન્ક સાથે IAS

પાંચ પ્રયત્ન, 18 કલાકનો અભ્યાસ અને ઇન્ટરવ્યુ નિષ્ફળતા છતાં હાર નહીં: સરહદી વિસ્તારમાંથી ઉગ્યો IAS અધિકારી.
વિપુલ ચૌધરીની સિદ્ધિ પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં રહેલા યુવાનો માટે પ્રેરણારૂપ બની.
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલ કરમણભાઈ ચૌધરીએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સતત બીજા વર્ષે નોંધપાત્ર સફળતા મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. ગત વર્ષે 2024માં 348મો રેન્ક મેળવી IPS તરીકે પસંદગી પામનાર વિપુલે હિંમત હાર્યા વગર ફરી પ્રયાસ કર્યો અને 2025માં 115મો રેન્ક મેળવી IAS બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
વિપુલના પિતાની ઈચ્છા હતી કે દીકરો મામલતદાર બને, પરંતુ વિપુલનું લક્ષ્ય શરૂઆતથી જ કંઈક મોટું કરવાની દિશામાં હતું. સરહદી વિસ્તારમાં ખેડૂતો અને સામાન્ય લોકોના જીવનમાં પડતી મુશ્કેલીઓ જોઈ તેમણે UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારી શરૂ કરી. દિવસના લગભગ 18 કલાકના અભ્યાસ અને સતત પાંચ પ્રયત્નો પછી પણ ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા મળતા ઘણા ઉમેદવારો નિરાશ થઈ જાય છે, પરંતુ વિપુલે પોતાની ભૂલો સ્વીકારી વધુ મહેનત કરી અને અંતે IAS તરીકે સફળતા મેળવી.

વિપુલ ચૌધરીનું કહેવું છે કે UPSC પરીક્ષા મેરેથોન દોડ જેવી છે. શરૂઆત સહેલી લાગે છે પરંતુ અંત સુધી ટકી રહેવું અઘરું હોય છે. નિષ્ફળતા તમારી કાબેલિયત નહીં પરંતુ મહેનતમાં રહેલી ખામી બતાવે છે. જો વ્યક્તિ પોતાના લક્ષ્યને સ્પષ્ટ રાખી મહેનતને જ મંત્ર બનાવે તો સફળતા એક દિવસ ચોક્કસ મળતી હોય છે.
IPS ટ્રેનિંગ પણ જોઈન કરી નહીં:-
વિપુલ ચૌધરી IPS તરીકે પસંદ થયા હોવા છતાં તેમણે IPS ટ્રેનિંગ જોઈન કરી નહોતી. તેમનું માનવું છે કે IPS તરીકે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મહત્વપૂર્ણ છે, પરંતુ IAS બનીને તેઓ સીધા જ ખેડૂતો અને છેવાડાના માનવીના જીવનધોરણ સુધારવા માટે નીતિગત સ્તરે નિર્ણયો લઈ શકશે. આ જ વિચાર સાથે તેમણે IPSની ટ્રેનિંગ મુલતવી રાખી IAS બનવા માટે ફરી તૈયારી શરૂ કરી અને અંતે સફળતા મેળવી.
વિપુલ ચૌધરીની આ સિદ્ધિ સરહદી વિસ્તારમાં રહેલા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. તેમના સંઘર્ષ, ધીરજ અને મહેનતથી સાબિત થયું છે કે મજબૂત ઈરાદા અને સતત પ્રયત્નોથી કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
