શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણના 122મા ગુરુવાર ભજન સત્સંગમાં ગુંજ્યો ભક્તિનો નાદ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ: ધર્મ, ભક્તિ અને સંસ્કારના સુમેળ સાથે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ, પાટણ દ્વારા 122મા ગુરુવારના ભજન સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન શૈલેષકુમાર ચંદુલાલ ઠક્કરના નિવાસસ્થાને, દિયાના સ્ટેટસ, પાટણ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામ સ્થિત શ્રી આનંદધામ ગૌ સેવા આશ્રમના પ્રખર સનાતની સંત, રાષ્ટ્રપ્રેમી અને ગૌપ્રેમી કથાકાર પૂજ્ય શ્રી કાલિદાસ બાપુનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.
પાટણનું અહોભાગ્ય ગણાય કે ગૌમાતા, રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે અખંડ સમર્પણ ધરાવતા પૂજ્ય કાલિદાસ બાપુના પાવન ચરણો આ પવિત્ર ધરા પર પડ્યા. બાપુશ્રીએ પોતાના આગવા અને ઓજસ્વી વક્તવ્ય દ્વારા ગૌસેવાનું મહત્વ, રાષ્ટ્રભક્તિ તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યા હતા.

કાર્યક્રમની એક અનોખી વિશેષતા તરીકે પૂજ્ય બાપુશ્રી દ્વારા ૧ થી ૧૦ વર્ષ સુધીની નાની દીકરીઓને તિલક કરી, દક્ષિણા અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા. એટલું જ નહીં, તેઓ દરેક દીકરીને ભેટ આપી તેમના હાથ પોતાના માથા પર મુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરતા હતા. આ દૃશ્યે સૌના હૃદયને સ્પર્શી લીધું હતું. બાપુશ્રી દરેક દીકરીમાં માતા ભવાનીનું સ્વરૂપ નિહાળી તેમને સન્માન આપતા હોવાનું સૌએ અનુભવું.
દર ગુરુવારની પરંપરા મુજબ આ પ્રસંગે લોકપ્રિય કલાકાર ભાઈ-બહેનો, ભક્તજનો તેમજ ગૌ સત્સંગ મંડળના સભ્યો દ્વારા ભાવભીના ભજન, કીર્તન અને આધ્યાત્મિક વાણીની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત ભક્તો હરિનામના રંગે રંગાઈ ગયા હતા.
કાર્યક્રમના યજમાન શૈલેષકુમાર ચંદુલાલ ઠક્કર, જનતાબેન, તેમના સુપુત્ર સ્વીટુકુમાર (ભૌતિક) તથા પુત્રવધૂ ભૂમિબેન દ્વારા પૂજ્ય સંતશ્રી તેમજ ઉપસ્થિત મહેમાનો અને ભક્તજનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌએ આ આયોજનની સરાહના કરી અને આવા સત્સંગો સમાજમાં સંસ્કાર, સેવા અને આધ્યાત્મિક જાગૃતિનો દીપ પ્રગટાવતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
