પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ તરફ આગળ વધતા પાટણના ખેડૂત

ઓર્ગેનિક ઉત્પાદનો સાથે વર્ષનું રૂ. ૨૦ લાખથી વધુ આવકનું મોડેલ બન્યું પ્રેરણાસ્ત્રોત
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાસાયણિક ખેતીના વધતા પ્રભાવ વચ્ચે પાટણ જિલ્લાના આંબાપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત નિર્મલકુમાર ચીમનભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌઉત્પાદનોનું મૂલ્યવર્ધન અને આયુર્વેદિક ઉત્પાદનોના નિર્માણ થકી તેઓ ખેતીને આત્મનિર્ભર અને નફાકારક બનાવી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.
પટેલ પાસે હાલમાં અંદાજે ૨૦ ગીર ગાયો, નંદી અને વાછરડાં છે. પરિવારના તમામ સભ્યો ગૌશાળા અને પ્રાકૃતિક ખેતીના કાર્યમાં સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ પોતાની અંદાજે ૧૦ વિઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી અડદ, મગ, ઘઉં, બાજરી સહિતના પાકોનું ઉત્પાદન કરે છે.

ખેતી સાથે ગૌશાળામાંથી પ્રાપ્ત ગોબર અને ગૌઉત્પાદનોના આધારે ધૂપસ્ટિક, ગોનાઈલ, સાબુ, શેમ્પૂ, તેલ, મધ, ચા, કોફી તેમજ આયુર્વેદિક ઔષધીય પ્રોડક્ટ્સનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. ઔષધીય છોડ ઉગાડી તેના પાવડર દ્વારા વિવિધ આયુર્વેદિક ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. કૃષિ ઉત્પાદન અને ગૌઉત્પાદનોના સંકલિત મોડેલ દ્વારા તેઓને વાર્ષિક અંદાજે રૂ. ૨૦ થી ૨૨ લાખ જેટલી આવક પ્રાપ્ત થઈ રહી છે.
આ અંગે નિર્મલકુમાર પટેલ જણાવે છે કે, “પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતના એકાદ વર્ષ ઉત્પાદન થોડું ઓછું થઈ શકે, પરંતુ જમીનમાં અળસિયાં અને જીવસૃષ્ટિ વિકસ્યા પછી ઉત્પાદન અને જમીનની ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર વધારો થાય છે. જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપસા જેવી પદ્ધતિઓનો નિયમિત ઉપયોગ તથા રાસાયણિક ખાતર અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતીમાં ચોક્કસ સફળતા મળે છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જતો જીવનમાર્ગ છે.”
