રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ચાલતા ટ્રેલરમાં ભીષણ આગ : મોટી પીપળી પાસે ટ્રક પળોમાં બળી ખાખ

ટ્રકના ડ્રાઈવર સહીત ક્લીનરે સમયસૂચકતા દાખવી ટ્રકમાંથી બહાર કૂદી પડતા બંને નો આબાદ બચાવ..
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક એક ચાલતા ટ્રેલર ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે તેમાંમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને થોડા જ પળોમાં આખી ટ્રક આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. જોતા જોતા ટ્રેલર આગનો ગોળો બની ગયું અને અંતે સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયું હતું.
આ ઘટનાને પગલે હાઈવે પર પસાર થતાં વાહનચાલકોએ તરત જ પોતાના વાહનો રોકી દીધા હતા અને તંત્રને જાણ કરી હતી. ભીષણ આગ અને ઊંચી જ્વાળાઓને કારણે સલામતીના હિતમાં બંને તરફના માર્ગ પર ટ્રાફિક થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો, જેના કારણે લાંબા અંતર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ ઘટનામાં રાહતની વાત એ છે કે, આગ લાગતાની સાથે જ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે સમયસૂચકતા દાખવીને ટ્રકમાંથી બહાર કૂદી પડતા તેઓનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ બુઝાયા બાદ માર્ગને ફરી ખુલ્લો મુકતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
હાઈવે પર ભારે વાહનોમાં ઉનાળાની કાળજાળ ગરમી અને યાંત્રિક ખામીઓના કારણે આવી આગની ઘટનાઓ વધતી જતા ચિંતાનો વિષય બની રહી છે, જેને લઈને તંત્ર દ્વારા સતર્કતા અને નિયમિત તપાસની જરૂરિયાત વધુ વકરે છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર (પાટણ)
